છોટાઉદેપુરની સાસુ-વહુએ પરંપરાગત રસોઈકળાથી રચ્યો ગ્લોબલ બ્રાન્ડ, પાપડીનો સ્વાદ પહોંચ્યો અમેરિકા-કેનેડા સુધી


આધુનિક જીવનની ઝડપી દોડ વચ્ચે પણ છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો આજે પણ પોતાની પરંપરા, સંસ્કાર અને સ્વાદને જીવંત રાખી રહ્યા છે. આવી જ એક પ્રેરણાદાયક કહાની છે સોડમ તાલુકાના તોતરમાતા ગામના પટેલ પરિવારની સાસુ-વહુની, જેમણે પરંપરાગત રસોઈકળાને આત્મનિર્ભરતાના મજબૂત વ્યવસાયમાં પરિવર્તિત કરી વિશ્વભરમાં પોતાની ઓળખ ઉભી કરી છે.

શિયાળાની ઋતુ શરૂ થતા જ નવા ધાન્યમાંથી પાપડી, ખીચિયા, ઘઉની સેવ જેવી પરંપરાગત વાનગીઓ બનાવવાની પરંપરા પેઢી દર પેઢી ચાલતી આવી છે. કોરોનાકાળ દરમિયાન ઘરમાં મળેલી નવરાશના સમયમાં સાસુ ગીતાબેન અને વહુ મનિષાબેન પટેલે આ પરંપરાને નવા સ્વરૂપમાં આગળ વધારવાનો વિચાર કર્યો. ઘર માટે બનતી વાનગીઓનો સ્વાદ બીજા પણ માણી શકે, એ વિચારથી તેમણે વ્યવસાયની શરૂઆત કરી.

વહુ મનિષાબેન જણાવે છે કે, શરૂઆતમાં ખીચિયા પાપડી, ઘઉની સેવ, ચિક્કી, બટાકાની કાતરી અને સાબુદાણાની ચકરી માત્ર ઘર ઉપયોગ અને સગાં-સંબંધીઓ માટે બનાવતા હતા. વડોદરામાં રહેતા સગાંઓએ સૌપ્રથમ પાપડીના ઓર્ડર આપ્યા હતા. શુદ્ધ કાચા માલ, ઘરેલું રીત, તાજગી અને પરંપરાગત સ્વાદને કારણે તેમની વાનગીઓ ઝડપથી લોકપ્રિય બની.

કોઈ ખાસ બ્રાન્ડિંગ કે મોટા પ્રચાર વગર માત્ર ગુણવત્તાના જોરે તેમની બનાવટોએ વિદેશી બજારમાં પણ સ્થાન બનાવ્યું. ધીમે ધીમે અમેરિકા, કેનેડા, યુએસએ અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ તરફથી પણ ઓર્ડર આવવા લાગ્યા. દેશી સ્વાદની સુગંધ અને ઘરની યાદ અપાવતી વાનગીઓ વિદેશમાં રહેતા ભારતીયોના ઘરો સુધી પહોંચી.

પાપડીથી શરૂ થયેલી તેમની સફર આજે ચિક્કી અને કાતરી સુધી વિસ્તરી છે. આ સાસુ-વહુની જોડીએ સાબિત કર્યું છે કે પરંપરાગત રસોઈકળામાં કમાણીનું નવું સરનામું છુપાયેલું છે. ગ્રામ્ય મહિલાઓ માટે આ કહાની આત્મવિશ્વાસ, સ્વરોજગાર અને આત્મનિર્ભર ભારતની દિશામાં પ્રેરણાદાયક ઉદાહરણ બની છે.

છોટાઉદેપુરની ધરતી પરથી ઊભી થયેલી આ ઉદ્યમશીલતા આજે સાત સમંદર પાર પોતાની સુગંધ ફેલાવી રહી છે, જે ગ્રામ્ય ગુજરાતની શક્તિ અને સંભાવનાનું જીવંત પ્રતિબિંબ છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *