
પર્યાવરણ સંરક્ષણ અને જૈવ વૈવિધ્યતાના ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય દેશભરમાં આગવું સ્થાન ધરાવે છે. દેશના કુલ વેટલેન્ડ વિસ્તારમાંથી 21 ટકાથી વધુ હિસ્સો ગુજરાત રાજ્યનો છે, જે અન્ય તમામ રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ છે. વેટલેન્ડ સંરક્ષણ, પુનર્વિકાસ અને પક્ષી પ્રજનન ક્ષેત્રે ગુજરાત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર પર્યાવરણ સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં આવેલા ખારી અને મીઠા પાણીના વેટલેન્ડ, કાદવાળ વિસ્તારો, તળાવો અને દરિયાકાંઠાના પરિસ્થિતિ તંત્રો માત્ર પર્યાવરણીય સંતુલન જ નહીં પરંતુ પક્ષીઓ અને જલચર જીવજંતુઓ માટે આશ્રયસ્થાન બની રહ્યા છે.
ગુજરાતના વેટલેન્ડ્સમાં દેશ-વિદેશથી લાખો પ્રવાસી પક્ષીઓ આવે છે. નલ સરોવર, થોલ સરોવર, ખિજડિયા બર્ડ સૅન્ક્ચુઆરી, વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક જેવા વિસ્તારો આજે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી રહ્યા છે. આ વિસ્તારોમાં વેટલેન્ડ સંરક્ષણ, જળસ્તર જાળવણી, સ્થાનિક પ્રજાતિઓનું સંવર્ધન અને જીવ વૈવિધ્યતાનું સંરક્ષણ અસરકારક રીતે કરવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા વેટલેન્ડ મેનેજમેન્ટ પ્લાન, વૈજ્ઞાનિક અભ્યાસ, ડ્રોન સર્વે, તેમજ સ્થાનિક સમુદાયની ભાગીદારીથી સંરક્ષણ કાર્યને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. વેટલેન્ડ્સ માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ માછીમારી, કૃષિ, પર્યટન અને ગ્રામિણ અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.
પર્યાવરણ સુરક્ષા સાથે ટકાઉ વિકાસ એ ગુજરાત સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે. આવનારા સમયમાં વધુ વેટલેન્ડ્સને રામસર સાઇટ તરીકે માન્યતા મળે તે દિશામાં પણ રાજ્ય સરકાર સક્રિય પ્રયત્નો કરી રહી છે. વેટલેન્ડ સંરક્ષણના આ પ્રયાસો ગુજરાતને “ગ્રીન સ્ટેટ” તરીકે નવી ઓળખ આપી રહ્યા છે.





