
વલસાડ શહેરના નાગરિકોને હવે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત તાજી અને પૌષ્ટિક શાકભાજી સરળતાથી ઉપલબ્ધ બનશે. શહેરના તિથલ રોડ પર રાજ્ય સરકારની પહેલથી ખાસ પ્રાકૃતિક ખેતી માર્કેટ શરૂ કરવામાં આવી છે. આ માર્કેટનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમની ખેત પેદાશનો યોગ્ય ભાવ મળે અને શહેરના લોકોને ઝેરમુક્ત તથા આરોગ્યપ્રદ શાકભાજી પ્રાપ્ત થાય તેવો છે.
આ ખાસ માર્કેટમાં ગામડાઓમાંથી ખેડૂતો સીધા પોતાની પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશ લઈને આવે છે અને ગ્રાહકોને વેચાણ કરે છે. જેના કારણે વચ્ચેના વેપારીઓની ભૂમિકા ઘટે છે અને ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય ભાવ મળે છે. સાથે સાથે ગ્રાહકોને પણ 100 ટકા વિશ્વસનીય અને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીની શાકભાજી મળી રહે છે.
આ માર્કેટ દર સપ્તાહે બે દિવસ એટલે કે સોમવાર અને ગુરુવારે યોજાય છે. આ દિવસોમાં આસપાસના ગામડાઓમાંથી અનેક ખેડૂતો પોતાની તાજી શાકભાજી, ફળો અને અન્ય કૃષિ પેદાશો લઈને અહીં આવે છે. ખેડૂતોથી સીધી ખરીદી કરવાની તક મળતા શહેરના લોકોમાં પણ આ માર્કેટ પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. આ પહેલનો એક મહત્વપૂર્ણ ભાગ તરીકે આવા માર્કેટ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય પ્લેટફોર્મ મળે છે અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત કૃષિ પેદાશ સરળતાથી મળે છે.
વલસાડ શહેરમાં શરૂ થયેલા આ પ્રાકૃતિક ખેતી માર્કેટને શહેરીજનો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો અહીંથી તાજી અને સ્વસ્થ શાકભાજી ખરીદવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. વધતા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને શહેરમાં આવા વધુ પોઈન્ટ શરૂ કરવાની માંગ પણ ઉઠી રહી છે.
આ પહેલથી ખેડૂતો અને ગ્રાહકો બંનેને લાભ મળી રહ્યો છે. ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળે છે, જ્યારે નાગરિકોને આરોગ્યપ્રદ અને ઝેરમુક્ત ખોરાક સરળતાથી પ્રાપ્ત થઈ રહ્યો છે. રાજ્ય સરકારની આ પહેલ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને સ્વસ્થ જીવનશૈલી તરફ લોકોને પ્રેરિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.





