ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે GSECLમાં 292 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત


ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)માં વિવિધ પદો પર પસંદગી પામેલા કુલ 292 ઉમેદવારોને ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે તથા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે GSECLમાં ડૉક્ટર, નર્સ, જુનિયર ઈજનેર, પ્લાન્ટ અટેન્ડન્ટ, જુનિયર આસિસ્ટન્ટ સહિત વિવિધ મહત્વપૂર્ણ પદો માટે પસંદ થયેલા ઉમેદવારોને અધિકૃત રીતે નિમણૂક પત્રો આપવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન ઊર્જા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, સંસ્થાના કર્મચારીઓ અને નવનિયુક્ત ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં ઊર્જા વિભાગના કર્મયોગીઓની ભૂમિકા ખૂબ પ્રશંસનીય હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કુદરતી આપત્તિ, વાવાઝોડા, ભારે વરસાદ કે અન્ય સંકટની પરિસ્થિતિઓમાં ઊર્જા વિભાગના કર્મચારીઓ જીવના જોખમે 24×7 કામગીરી કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી વીજળી પુનઃસ્થાપિત કરે છે. આ ભગીરથ કાર્ય બદલ તેમણે તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

મંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત @ 2047”ના રોડમેપને સાકાર કરવામાં દરેક કર્મચારીનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. તેમણે નવનિયુક્ત ઉમેદવારોને ફરજ પ્રત્યે નિષ્ઠા, સમર્પણ અને જવાબદારી સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી.

રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ પણ આ અવસરે નવનિયુક્ત કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતનું ઊર્જા ક્ષેત્ર દેશભરમાં આગવી ઓળખ ધરાવે છે, જેમાં નવા યુવાનોની જોડાણથી કાર્યક્ષમતા અને સેવાગુણવત્તામાં વધારો થશે.

ઉલ્લેખનીય છે કે GSECL રાજ્યના વીજ ઉત્પાદન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 292 નવી નિમણૂકો સાથે સંસ્થાની માનવ સંસાધન ક્ષમતા વધુ મજબૂત બનશે અને રાજ્યના વિકાસમાં ઊર્જા ક્ષેત્રનું યોગદાન વધુ સશક્ત બનશે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *