
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ સાથે પોષણને સમાન મહત્વ આપતી ગુજરાત સરકારની ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ આજે રાજ્યભરમાં એક સફળ અને પ્રેરણાદાયક સાફલ્ય ગાથા બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરતી આ યોજના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દૃઢ નેતૃત્વ હેઠળ બાળકોના સર્વાંગી વિકાસનું મજબૂત આધાર બની છે.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાની સુખપર કુમાર પ્રાથમિક શાળા નં. ૨ સહિત રાજ્યની અનેક સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં આ યોજનાનો અસરકારક અમલ થઈ રહ્યો છે. આધુનિક વર્ગખંડો, શુદ્ધ પીવાનું પાણી, વીજળી, સ્વચ્છ શૌચાલય, પરિવહન અને પોષણયુક્ત આહાર જેવી સુવિધાઓ દ્વારા રાજ્ય સરકાર બાળકોને ઉત્સાહપૂર્વક શાળાએ આવવા પ્રેરિત કરી રહી છે.
ઈ.સ. ૧૯૯૭થી કાર્યરત સુખપર કુમાર પ્રાથમિક શાળા નં. ૨ના આચાર્ય શ્રી ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન સાથે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત બાળકોને સુખડી, ચણા, ચીકી, મિક્સ કઠોળ, મિલેટ્સ અને ઋતુ અનુસાર ફળો આપવામાં આવે છે. આ પૌષ્ટિક નાસ્તાના કારણે વિદ્યાર્થીઓના પોષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે અને શાળાની હાજરીમાં પણ વધારો નોંધાયો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં કામકાજ માટે બહાર જતાં માતા-પિતાની બાળકોના પોષણ અંગેની ચિંતા રાજ્ય સરકારે વાલી બનીને દૂર કરી છે. વાલી શ્રીમતી વૈશાલીબેન કલ્પેશભાઈ રાજગોરે આ યોજના બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આ યોજનાથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે મોટી રાહત મળી છે.
વિદ્યાર્થીઓ પણ ઘર જેટલો શુદ્ધ અને પૌષ્ટિક નાસ્તો મળતા આનંદ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 11 ડિસેમ્બર 2024થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત હાલ રાજ્યની 32,265 પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને સરેરાશ 200 કેલરી અને 6 ગ્રામ પ્રોટીનયુક્ત અલ્પાહાર આપવામાં આવે છે. નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્ય સરકારે આ યોજના માટે ₹617.67 કરોડનું બજેટ ફાળવીને સુપોષિત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે.





