
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ કરાવવા માટે શરૂ કરવામાં આવેલ “સેવા સેતુ” કાર્યક્રમ અનેક લોકો માટે લાભદાયી સાબિત થઈ રહ્યો છે. સુરત શહેરના હિરાબાગ વિસ્તારના શાંતિનગરમાં રહેતા ૬૨ વર્ષીય દિવ્યાંગ વરિષ્ઠ નાગરિક સવજીભાઈ અંબાભાઈ ગોરાસીયા આ યોજનાનો લાભ લઈ જાગૃત નાગરિકનું પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યા છે.
મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા સવજીભાઈ વધુ ભણેલા નથી, છતાં તેઓ સરકારી યોજનાઓ અંગે અત્યંત જાગૃત છે. તેઓ માત્ર પોતાને અને પોતાના પરિવારને જ નહીં પરંતુ આસપાસના લોકોને પણ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે સતત પ્રયાસ કરતા રહે છે. સરકારી સેવાઓ પ્રત્યેની તેમની આ જાગૃતિ આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે.
સુરત શહેરના સરથાણા ઝોન ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમ વિશે જાણ થતા જ સવજીભાઈ પોતાના ‘સિનિયર સિટીઝન કાર્ડ’ મેળવવાના મક્કમ નિર્ધાર સાથે ત્યાં પહોંચ્યા હતા. કાર્યક્રમમાં હાજર અધિકારીઓ અને ઓપરેટરોએ તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું અને સ્થળ પર જ તેમનું ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
થોડા જ સમયમાં તમામ જરૂરી વિગતો નોંધાયા બાદ તેમનું સિનિયર સિટીઝન કાર્ડ પ્રોસેસ કરવામાં આવ્યું અને સ્થળ પર જ તેમને કાર્ડ મળ્યું. આ સમગ્ર પ્રક્રિયા ઝડપથી અને સરળતાથી પૂર્ણ થતા સવજીભાઈએ સરકારની આ પહેલની પ્રશંસા કરી હતી.
સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી સેવાઓ માટે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર ન પડે તેવો છે. વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવીને લોકોને સમય અને ખર્ચ બંનેમાં રાહત મળે તે માટે આ કાર્યક્રમ ખૂબ અસરકારક બની રહ્યો છે.
સવજીભાઈ ગોરાસીયાની જાગૃતિ અને ઉત્સાહ અન્ય નાગરિકોને પણ સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવવા અને તેનો લાભ લેવા માટે પ્રેરણા આપે છે. તેમની જેમ જાગૃત નાગરિકો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સેવા સેતુ જેવી પહેલો દ્વારા સરકાર અને નાગરિકો વચ્ચેનો અંતર ઘટી રહ્યો છે અને સામાન્ય લોકો સુધી સરકારી સેવાઓ વધુ સરળતાથી પહોંચાડવામાં આવી રહી છે.





