
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભૂંજા ગામે જિલ્લા વહીવટી તંત્ર અને ડી.આર.વી.એ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ મહા આરોગ્ય શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય શિબિરનો વિધિવત પ્રારંભ રાજ્યકક્ષાના રમતગમત અને સંસ્કૃતિ પ્રવૃતિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ગ્રામ્ય અને અંત્યોદય વર્ગના નાગરિકોને ગુણવત્તાસભર અને સસ્તી આરોગ્ય સેવાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા આરોગ્ય શિબિરો દ્વારા દુરસ્ત વિસ્તારોમાં રહેતા લોકો સુધી તબીબી સેવાઓ સરળતાથી પહોંચે છે, જેના કારણે સમયસર નિદાન શક્ય બને છે અને ગંભીર બીમારીઓને અટકાવી શકાય છે. “સૌનું આરોગ્ય સ્વસ્થ તો દેશ સ્વસ્થ”ના મંત્રને સાકાર કરવા તેમણે નાગરિકોને આ પ્રકારના કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
શિબિર દરમિયાન વિવિધ પ્રકારની નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં હેલ્થ ચેકઅપ, સીકલ સેલ, એનિમિયા, આંખ, ઈએનટી, હાર્ટ ચેકઅપ, દાંતની તપાસ, બ્લડ ટેસ્ટ તેમજ સ્કિન સંબંધિત સારવારનો સમાવેશ થાય છે. ઉપરાંત દર્દીઓને મફત દવાઓ અને પોષણયુક્ત આહાર કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે મંત્રીશ્રીએ દિવ્યાંગ નાગરિકોને મફત વ્હીલચેર વિતરણ કરીને સમાજમાં સહાય અને સહકારની ભાવના મજબૂત કરી હતી. ડૉ. ધર્મેન્દ્ર કુમારએ જણાવ્યું કે તેમની ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી આરોગ્ય સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજની સેવા કરી રહી છે અને ભવિષ્યમાં પણ આવી સેવાઓ ચાલુ રહેશે.
કાર્યક્રમમાં જાલમસિંહ વસાવા સહિત જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. આ મહા આરોગ્ય શિબિર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે.





