
ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા માહિતી કચેરી દ્વારા ડોલવણ તાલુકાના કલકવા ગામે આવેલા વિશ્વનાથ મહાદેવ મંદિરના પરિસરમાં ભવ્ય સાંસ્કૃતિક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્કૃતિ અને માહિતીનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.
‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ થીમ આધારિત આ લોકડાયરામાં કેલકુઈ ગામના પ્રખ્યાત લોકગાયક શ્રી ઉલ્લાસચંદ્ર ચૌધરી અને તેમની શિવરંજની ગ્રુપના કલાકારોએ લોકસંગીત, હાસ્ય અને લોકવાણી દ્વારા ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગાયક કલાકાર શ્રી શંકરભાઈ ચૌધરી, કીબોર્ડવાદક શ્રી વિપુલભાઈ ચૌધરી અને તબલાવાદક શ્રી નૈતિક ગમીત સહિતના કલાકારોએ રજૂ કરેલા કાર્યક્રમને ગ્રામજનોએ ભરપૂર આવકાર આપ્યો હતો.
લોકડાયરાની ખાસિયત એ હતી કે મનોરંજનની સાથે સાથે લોકપ્રિય લોકગીતોના માધ્યમથી જનકલ્યાણલક્ષી સરકારી યોજનાઓની માહિતી સરળ અને અસરકારક રીતે આપવામાં આવી હતી. કલાકારોએ લોકડાયરામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પારદર્શક મહેસૂલી સુધારા, લાખપતિ દીદી યોજના (મહિલા સશક્તિકરણ), નાના વેપારીઓને પ્રોત્સાહન આપતી યોજનાઓ, ખેડુતો માટે કિસાન સૂર્યોજના તેમજ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ કરાવતી યોજનાઓ અંગે માહિતી આપી હતી.
જિલ્લામાં તા. ૩ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર દરમિયાન ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન તાપી જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજી નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સુશાસન દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સરકાર અને જનતા વચ્ચે પારદર્શિતા, જવાબદારી અને વિશ્વાસ મજબૂત કરવાનો છે.
કલકવા ગામે યોજાયેલ આ લોકડાયરો ગ્રામજનો માટે માહિતીપૂર્ણ અને મનોરંજક સાબિત થયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. સુશાસન દિવસની આ અનોખી ઉજવણી દ્વારા વિકાસ અને સંસ્કૃતિનો સંદેશ સફળતાપૂર્વક લોકો સુધી પહોંચ્યો હતો.





