
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્ય માટે સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના માનનીય જોઈન્ટ સેક્રેટરી તથા મેનેજીંગ ડાયરેક્ટર શ્રી ઐશ્વર્યા સિંઘ (IAS)ની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે હાલમાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત એક મહત્વપૂર્ણ ઓનલાઈન સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા ઉપરાંત બનાસકાંઠા, અમદાવાદ, ડાંગ અને સુરત જિલ્લાઓમાં અમલમાં રહેલી મતદારયાદી સુધારણા કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. સંબંધિત જિલ્લાઓના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, નાયબ કલેક્ટરશ્રીઓ, ચૂંટણી શાખાના અધિકારીઓ તેમજ અન્ય જવાબદાર કર્મચારીઓ બેઠકમાં ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વર શ્રી ઐશ્વર્યા સિંઘે બેઠક દરમિયાન મતદારયાદી સુધારણા કાર્યક્રમની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી અને કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપ્યા. તેમણે જણાવ્યું કે, મતદારયાદી લોકશાહીનું મૂળભૂત આધારસ્તંભ છે અને તેમાં કોઈપણ પ્રકારની ભૂલ કે ખામી ન રહે તે માટે ખાસ કાળજી લેવી જરૂરી છે.તેમણે ઉમેર્યું કે, નવા મતદારોનું નોંધણી કાર્ય, મૃત મતદારોના નામ કાઢવાની પ્રક્રિયા, સ્થળાંતર કરેલા મતદારોની વિગતોમાં સુધારો તેમજ ડુપ્લીકેટ એન્ટ્રીઓ દૂર કરવાની કામગીરી સમયસર અને ચોકસાઈથી પૂર્ણ કરવી અત્યંત મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, યુવા મતદારો, મહિલા મતદારો તથા વિશેષ રીતે પછાત વર્ગોના મતદારોની નોંધણી વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો.બેઠક દરમિયાન અધિકારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરવા તથા મેદાનસ્તરે કાર્યરત કર્મચારીઓ સાથે સંકલન મજબૂત કરવા સૂચના આપવામાં આવી. સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વરશ્રીએ ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને ડેટાની ચોકસાઈ સુનિશ્ચિત કરવા પણ માર્ગદર્શન આપ્યું.આ સમીક્ષા બેઠકથી મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમને વધુ ગતિ મળશે અને આવનારી ચૂંટણી માટે સ્વચ્છ, સચોટ અને વિશ્વસનીય મતદારયાદી તૈયાર કરવામાં મદદરૂપ બનશે. રાજ્યમાં લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ બેઠકને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.





