
દાહોદ જિલ્લામાં સ્થિત આનંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાળિયા ફાર્મ દ્વારા આંતરિક વિસ્તારોના ખેડૂતો માટે ભીંડા પાક અંગે વિશેષ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. “Strengthening Adaptive Research in Agro-Climatic Zones of A.A.U.” યોજનાના અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેડૂતોને ઉનાળુ સિઝનમાં ભીંડા પાકનું ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન દાહોદ જિલ્લાના ખારેડી ગામના 10 ખેડૂતોને ગુજરાત આનંદ ભીંડા-3 (આનંદ કોમલ) જાતના ભીંડા પાકના બીજ મફત આપવામાં આવ્યા હતા. ખેડૂતોમાં ભીંડા પાકનું વાવેતર વધે અને તેમની આવકમાં વધારો થાય તે માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ઉનાળાની સિઝનમાં ભીંડા પાકને રોકડ પાક તરીકે ઉગાડવામાં આવે છે, તેથી આ જાત ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાળિયા ફાર્મ દાહોદના યુનિટ હેડ અને સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એચ. કે. પરમારના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે ખેડૂતોને કેન્દ્ર દ્વારા કરવામાં આવતી સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી તેમજ આનંદ કોમલ જાતના ભીંડાના લાભો વિશે સમજાવ્યું હતું.
કેન્દ્રના સહાયક સંશોધન વૈજ્ઞાનિક ડૉ. મિહિર એમ. પંડ્યાએ ખેડૂતોને ભીંડા પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આનંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસિત ભીંડાની અન્ય સંશોધિત જાતો વિશે પણ વિગતવાર માહિતી આપી હતી.
આ ઉપરાંત શ્રીમતી એસ. બી. પરગીએ ખેડૂતોને આબોહવા, જમીનની પસંદગી, બીજ દર, વાવણીનું અંતર અને વાવણી પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કૃષિ અધિકારી શ્રી કે. એલ. પરગીએ ખાતર વ્યવસ્થાપન, સિંચાઈ વ્યવસ્થા અને બજાર વ્યવસ્થાપન અંગે માહિતી આપી હતી, જેથી ખેડૂતોને વધુ ઉત્પાદન અને યોગ્ય ભાવ મળી શકે.
આનંદ કોમલ જાતના ભીંડા છોડ ઊંચા અને વધુ સંખ્યામાં થાય છે. તેના ફળ ગાઢ લીલા રંગના, મધ્યમ કદના અને નરમ હોય છે. આ જાતમાં વધુ ઉત્પાદન ક્ષમતા છે તેમજ યેલો વેન મોઝેક અને અન્ય રોગો સામે પ્રતિકાર શક્તિ પણ સારી છે.
કાર્યક્રમના અંતે ખેડૂતોને આનંદ કોમલ જાતના ભીંડાના બીજનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમને કૃષિ સંશોધન કેન્દ્રની મુલાકાત પણ કરાવવામાં આવી હતી.





