
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત પોપટભાઈ ડાભી પ્રાકૃતિક ખેતી અપનાવી માત્ર 90 દિવસમાં શક્કર ટેટી (મસ્કમેલન)નું સફળ ઉત્પાદન મેળવી સારો નફો કમાઈ રહ્યા છે. રાસાયણિક ખાતર અને જીવાતનાશકોના વધતા ખર્ચ વચ્ચે પ્રાકૃતિક પદ્ધતિ તરફ વળેલા પોપટભાઈ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
પોપટભાઈએ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી શક્કર ટેટીનું વાવેતર કર્યું હતું. જીવામૃત, ઘન જીવામૃત અને કુદરતી દવાઓનો ઉપયોગ કરીને તેઓએ પાકનું સંરક્ષણ કર્યું. માત્ર ત્રણ મહિનાની ટૂંકી અવધિમાં પાક તૈયાર થઈ જતા તેઓને ઝડપથી આવક મળવા લાગી. પ્રાકૃતિક રીતે ઉગાડેલી શક્કર ટેટી બજારમાં મળતી સામાન્ય ટેટી કરતાં વધુ મીઠી, રસદાર અને ગુણવત્તાસભર હોય છે, જેના કારણે ગ્રાહકોમાં તેની વિશેષ માંગ રહે છે.
ખેડૂત પોપટભાઈ ડાભી જણાવે છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાસાયણિક ખાતર, દવાઓ અને મોંઘા ઇનપુટ્સનો ખર્ચ બચતા નફાકારકતા વધી છે. વધુમાં, તેમની શક્કર ટેટીનું મોટાભાગનું વેચાણ ઘરઆંગણે જ થઈ જાય છે. સ્થાનિક ગ્રાહકો સીધા ખેતરેથી જ માલ ખરીદી લેતા હોવાથી બજાર સુધી જવાની જરૂર પડતી નથી, જેના કારણે પરિવહન ખર્ચમાં પણ બચત થાય છે.
તેઓ જણાવે છે કે પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવાથી જમીનની ઉપજાઉ શક્તિમાં વધારો થયો છે અને પાકની ગુણવત્તા પણ સુધરી છે. ગ્રાહકો સ્વાસ્થ્યપ્રદ અને રાસાયણમુક્ત ફળો પ્રત્યે વધુ જાગૃત બનતા જતા હોવાથી પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધી રહ્યું છે.
પાલિતાણાના આ પ્રગતિશીલ ખેડૂતે ઓછી મુદતમાં વધુ આવક મેળવી બતાવ્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને દૃઢ નિશ્ચયથી પ્રાકૃતિક ખેતી નફાકારક બની શકે છે. પોપટભાઈ ડાભીનો આ પ્રયોગ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી ઉદાહરણ સાબિત થઈ રહ્યો છે અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.





