
દાહોદ શહેરની ઠક્કરબાપા સ્કૂલ ખાતે દાહોદ નગર પાલિકા ચીફ ઓફિસર શ્રીના જન્મદિવસ નિમિતે “સંકલન સંકલ્પ”ના અનુસંધાને એક અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી યોજાઈ. આ અવસરે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને આરોગ્ય વિકાસને કેન્દ્રમાં રાખીને પેન્સિલ કીટનું વિતરણ તેમજ સામૂહિક પૌષ્ટિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું. જન્મદિવસને સેવા અને સમાજોપયોગી કાર્ય સાથે જોડવાનો આ પ્રયાસ સૌ માટે પ્રેરણારૂપ બન્યો.
કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફિસર શ્રી જાતે જ વિદ્યાર્થીઓને ભોજન પીરસતા જોવા મળ્યા હતા. તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ સાધી આરોગ્ય અને પોષણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. ચીફ ઓફિસર શ્રી દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે રોજ ઘરમાંથી ટિફિન લઈને શાળાએ આવવાની આદત વિકસાવવી ખૂબ જરૂરી છે. બહારના નાસ્તાના પડીકા ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી અને તેનાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.
તેમણે બાળકોને “જમશો, રમશો અને ભણશો” જેવું સરળ પરંતુ અસરકારક સૂત્ર આપ્યું. તેમના જણાવ્યા મુજબ ઘરનું તાજું અને પૌષ્ટિક ભોજન જ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે સૌથી વધુ લાભદાયક છે. બહારના જંક ફૂડના કારણે બાળકોમાં વજન ઓછું થવું, લોહીનું પ્રમાણ ઘટવું અને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળે છે, જેના પરિણામે અભ્યાસ પર પણ અસર પડે છે.
આ સાથે શાળાના શિક્ષકગણને પણ વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવનશૈલી, પૌષ્ટિક આહાર અને સ્વચ્છતાની જાગૃતિ ફેલાવવાની સૂચના આપવામાં આવી. શિક્ષકો દ્વારા બાળકોને નિયમિત ટિફિન લાવવા, સ્વચ્છતા જાળવવા અને સક્રિય જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો.
આ પ્રસંગે ઠક્કરબાપા સ્કૂલના ધોરણ ૧થી ૮ના કુલ ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું. વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો. પેન્સિલ કીટ મળવાથી બાળકોમાં અભ્યાસ પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળ્યો.
દાહોદ નગર પાલિકા ચીફ ઓફિસર શ્રી દ્વારા જન્મદિવસની આ રીતે ઉજવણી કરીને સમાજને સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો કે વ્યક્તિગત આનંદ કરતાં સામૂહિક કલ્યાણ વધુ મહત્વનું છે. આ કાર્યક્રમ શિક્ષણ, આરોગ્ય અને સંસ્કારના ક્ષેત્રે એક સરાહનીય પહેલ તરીકે નોંધપાત્ર બન્યો છે.





