
ઉધના મગદલ્લા રોડ પર ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં Veer Narmad South Gujarat Universityના ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય રાષ્ટ્રીય પુસ્તકમેળાના પ્રથમ દિવસે જ પુસ્તકપ્રેમી સુરતીઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાહિત્ય સાથે પ્રકૃતિ અને કલાનો સંગમ કરાવતા આ મેળાએ શહેરમાં વાંચન સંસ્કૃતિને નવી ઉર્જા આપી છે.
મેળામાં કુલ ૧૧ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી ૫ ડોમ બુક ફેર માટે અનામત રાખવામાં આવ્યા છે અને તેમાં કુલ ૬૩ બુક સ્ટોલ્સ કાર્યરત છે. અહીં વિવિધ વિષયો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, આધ્યાત્મ, સાહિત્ય, બાળકોની પુસ્તકો અને પ્રેરણાત્મક સાહિત્ય સહિતનું વિશાળ વૈવિધ્ય ઉપલબ્ધ છે. પુસ્તકપ્રેમીઓ પોતાના મનગમતા પુસ્તકોની ખરીદી સાથે લેખકો અને પ્રકાશકો સાથે સંવાદનો લાભ પણ લઈ રહ્યા છે.
વિશેષ આકર્ષણ તરીકે વડાપ્રધાન Narendra Modi દ્વારા લખાયેલ પુસ્તકો તેમજ તેમના જીવન-કવન, સુશાસન અને વિચારધારા પર અન્ય લેખકો દ્વારા લખાયેલા પુસ્તકોનું વિશેષ થીમ પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ‘નમો રીડિંગ કોર્નર’ અને ‘લેટર્સ ટુ પીએમ’ વિભાગ ઉભા કરાયા છે, જ્યાં મુલાકાતીઓ વાંચનનો અનોખો અનુભવ કરી શકે છે.
મેળાના એક ડોમમાં ૩૬ સ્ટોલ સાથે ફૂડ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે શિલ્પગ્રામ માટે ૧ ડોમમાં ૪૪ સ્ટોલ છે. પ્લાન્ટેશન માટે ૪ ડોમમાં કુલ ૪૦ સ્ટોલ ઉભા કરાયા છે. મેળાના મધ્ય ભાગમાં ૮૦૦ ચો.મી. વિસ્તારમાં આકર્ષક ફલાવર શોનું નિર્માણ કરાયું છે, જે મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યું છે. સાથે જ ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણવાની તક પણ ઉપલબ્ધ છે.
સુરતનો આ પુસ્તકમેળો જ્ઞાન, પ્રકૃતિ અને કલાનો સમન્વય બની શહેરમાં સાંસ્કૃતિક ચેતના ફેલાવી રહ્યો છે.





