
અમરેલી: રાજ્ય સરકારની વિવિધ માછીમારી સહાય યોજનાઓના અસરકારક અમલથી અમરેલી જિલ્લાના માછીમારોને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. વર્ષ 2024-25 દરમિયાન અમરેલી જિલ્લામાં માછીમારી ક્ષેત્રે વિવિધ યોજનાઓ હેઠળ કુલ ₹884.16 લાખની સહાય માછીમારોને ચૂકવવામાં આવી છે, જે જિલ્લાની માછીમારી આધારિત આર્થિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
અમરેલી જિલ્લામાં જાફરાબાદ, ધારબંધર, શિયાળબેટ અને ચાંચ બંદર સહિત કુલ ચાર માછીમારી બંદરોનો સમાવેશ થાય છે. આ બંદરો જિલ્લામાં માછીમારી ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ આધારસ્તંભ તરીકે કાર્ય કરે છે. ખાસ કરીને જાફરાબાદ બંદરને રાજ્યના ટોચના 10 મુખ્ય બંદરોમાં સ્થાન મળ્યું છે, જે જિલ્લાના વિકાસ માટે ગૌરવપૂર્ણ બાબત છે.
જિલ્લા માછીમારી કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંધર, નવાબંદર, સૈયદ રાજપરા અને સિમર માછીમારી બંદર/લેન્ડિંગ સેન્ટરોમાં કુલ 1866 નાની અને મોટી માછીમારી બોટો નોંધાયેલ છે. આ બોટો દ્વારા મોટી સંખ્યામાં માછીમારોને રોજગાર મળે છે અને જિલ્લાની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન મળે છે.
રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આપવામાં આવતી સહાય હવે સંપૂર્ણપણે પારદર્શક અને ડિજિટલ પ્રક્રિયા દ્વારા આપવામાં આવી રહી છે. માછીમારો વિવિધ માછીમારી સહાય યોજનાઓ માટે ઓનલાઇન પોર્ટલ મારફતે અરજી કરે છે અને મંજૂર સહાયની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) પદ્ધતિથી ભ્રષ્ટાચારની શક્યતા ઘટી છે અને માછીમારોને સમયસર લાભ મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે બોટ સહાય, જાળ ખરીદી, માછીમારી સાધનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સલામતી સાધનો તેમજ કલ્યાણકારી યોજનાઓ દ્વારા માછીમારોના જીવનસ્તરમાં સુધારો લાવવાનો રાજ્ય સરકારનો સતત પ્રયાસ છે. અમરેલી જિલ્લામાં મળતી વ્યાપક સહાયથી માછીમારી ઉદ્યોગ વધુ સશક્ત બન્યો છે અને માછીમારો આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
સરકારની સક્રિય નીતિઓ અને ટેક્નોલોજીના ઉપયોગથી અમરેલી જિલ્લો માછીમારી ક્ષેત્રે રાજ્યમાં આગવી ઓળખ ઉભી કરી રહ્યો છે.





