
Saurashtra Patel Seva Samaj દ્વારા Surat ખાતે સમાજમાં સકારાત્મક વિચારધારાના પ્રસાર માટે યોજાતા ‘થર્સ ડે થોટ્સ: વિચારોનું વાવેતર’ કાર્યક્રમના 150મા અવસરને ‘વિચાર મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં Acharya Devvratની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
કેનાલ રોડ સ્થિત Happiness Banquet Hall ખાતે આયોજિત આ સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી દર ગુરુવારે સતત યોજાતા ‘થર્સ ડે થોટ્સ’ કાર્યક્રમમાં રજૂ થયેલા શ્રેષ્ઠ વિચારોના સંકલનરૂપ ‘100 Thoughts Book’નું વિમોચન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે વિચારોનું વાવેતર રાષ્ટ્રના ઘડતરના મજબૂત પાયો સમાન છે. સકારાત્મક અને ઉત્તમ વિચારો વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવે છે તેમજ સમગ્ર સમાજને પ્રગતિ તરફ દોરી જાય છે. તેમણે જણાવ્યું કે નવી પેઢીમાં સંસ્કાર અને વૈચારિક શક્તિનું સિંચન કરવું એ જ સાચી રાષ્ટ્રસેવા છે.
રાજ્યપાલે વધુમાં કહ્યું કે શ્રેષ્ઠ વિચારો અને સારા સંસ્કારો મનુષ્યને સાચા અર્થમાં પ્રબુદ્ધ બનાવે છે. જીવનમાં સફળતા અને ઉત્તમતા મેળવવા માટે સકારાત્મક વિચારધારા ખૂબ જ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે, પરંતુ મનની શુદ્ધિ સત્ય બોલવાથી, આત્માની શુદ્ધિ વિદ્યા અને તપથી અને બુદ્ધિની શુદ્ધિ જ્ઞાનથી થાય છે.
કાર્યક્રમમાં પટેલ સમાજના યોગદાન વિશે વાત કરતા રાજ્યપાલે જણાવ્યું કે પટેલ સમાજે ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ‘જનની-જન્મભૂમિ’ પ્રત્યેના પ્રેમને પોતાના વ્યવહાર અને કાર્યમાં સાકાર કર્યો છે. સમાજના વિકાસ અને રાષ્ટ્રના ઘડતરમાં આવા વિચારોની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા છેલ્લા 150 અઠવાડિયાથી સતત ચાલતા આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સકારાત્મક વિચારધારાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ પહેલથી યુવાનોમાં પ્રેરણા, આત્મવિશ્વાસ અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદ મળી રહી છે.
આ ‘વિચાર મહોત્સવ’ કાર્યક્રમ સમાજમાં સારા વિચારો અને સંસ્કારોના પ્રસાર માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થયો હતો.





