
સુરત જિલ્લાના નવી રચાયેલ આંબિકા તાલુકામાં ત્રિ-દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો–2025નો માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓની હાજરીમાં આદિવાસી કળા, હસ્તકલા અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપતા આ રાષ્ટ્રીય સ્તરના મેળાનો શુભારંભ થયો હતો. સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોના ₹858 કરોડના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો “વોકલ ફોર લોકલ – લોકલ ફોર ગ્લોબલ”નો મંત્ર આ ત્રિ-દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળામાં સાર્થક થતો દેખાય છે. આદિવાસી સમાજની પરંપરાગત કળા, હસ્તકલા, ખોરાક અને ઉત્પાદનોને વૈશ્વિક બજાર સાથે જોડવાની દિશામાં આવા મેળાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળામાં આદિવાસી ભોજન સહિત કુલ 370થી વધુ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. દેશભરના વિવિધ રાજ્યોમાંથી 700થી વધુ પ્રતિનિધિઓએ આ મેળામાં ભાગ લીધો છે, જેનાથી આદિવાસી ઉદ્યોગોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી રહી છે. ઉપરાંત MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વ્યવસાયિક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉદ્યોગકારોને માર્ગદર્શન અને નવી તકો વિશે માહિતી આપવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આદિવાસી સમાજની આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. વિકાસકાર્યો સાથે સાથે પરંપરા અને સંસ્કૃતિના સંવર્ધન પર પણ સરકારનું વિશેષ ધ્યાન છે. રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો માત્ર વેપારનું મંચ નહીં પરંતુ “શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ મેળા દ્વારા આદિવાસી કારીગરો, ઉદ્યોગકારો અને યુવાનોને નવી દિશા મળશે તેમજ સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ મળશે, જેનાથી “આત્મનિર્ભર ભારત”ના સ્વપ્નને નવી ઊંચાઈ મળશે.





