
ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આજ તા. 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ભવ્ય ઉજવણીનો મંગલ પ્રારંભ થયો છે. આ પર્વ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અવિસ્મરણીય ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.
સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. તેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન પર આવી પહોંચી, જેમાં હજારો શિવભક્તો સોમનાથની પવિત્ર ધરતી પર પગલાં મૂકી શ્રદ્ધા અને ભક્તિમાં તરબોળ બન્યા. ‘જય સોમનાથ’ અને ‘હર હર ભોલે’ના ગગનભેદી નાદથી સમગ્ર રેલવે સ્ટેશન અને આસપાસનું વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું.
વિશેષ ટ્રેન દ્વારા આવેલા શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી પોતાના આરાધ્ય પ્રત્યે અખૂટ શ્રદ્ધા વ્યક્ત કરી. એક હજાર વર્ષના સંઘર્ષ, વિધ્વંસ છતાં અડગ રહેલી આસ્થા અને પુનઃનિર્માણના વિજયની ગાથાને યાદ કરતાં અનેક ભક્તો ભાવવિભોર બન્યા હતા. સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિની અડગતા અને આત્મબળનું જીવંત પ્રતીક છે, જે આજે પણ કરોડો લોકોને પ્રેરણા આપે છે.
ચાર દિવસ ચાલનારા આ સ્વાભિમાન પર્વ દરમિયાન વિશેષ પૂજા-અર્ચના, અખંડ જાપ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા શૌર્ય અને સ્વાભિમાનને ઉજાગર કરતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરના વિવિધ ભાગોથી આવેલા શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ અને સુરક્ષાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
“સોમનાથ સ્વાભિમાન પર્વ” ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રગૌરવ અને અડગ આસ્થાનો ઉત્સવ બની સમગ્ર દેશને એકતાના સૂત્રમાં બાંધે છે.





