
દાહોદ જિલ્લામાં “રમશે દાહોદ, જમશે દાહોદ અને ભણશે દાહોદ” સૂત્રને સાચા અર્થમાં સાકાર કરતું ઝાલોદ કસ્બા આંગણવાડી કેન્દ્ર આજે સૌનું ધ્યાન આકર્ષી રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાના સૂચનથી અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ સંકલિત બાળ વિકાસ અધિકારી શ્રી નીલૂબેન માછીની દેખરેખમાં આ આંગણવાડી કેન્દ્રમાં બાળવિકાસ માટે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે.
ઝાલોદ ઘટક-01, સેજો ઝાલોદ સ્થિત ઝાલોદ કસ્બા આંગણવાડી કેન્દ્રમાં હાલમાં 50થી વધુ બાળકો નિયમિત રીતે હાજરી આપી રહ્યા છે. ખાસ વાત એ છે કે અગાઉ અંગ્રેજી માધ્યમ ખાનગી નર્સરીમાં જતા બાળકોને તેમના વાલીઓએ આંગણવાડી કેન્દ્રમાં દાખલ કર્યા છે. આ નિર્ણય પાછળ આંગણવાડીમાં ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, બાળકોના સર્વાંગી વિકાસ અને પોષણ વ્યવસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે.
આ આંગણવાડી કેન્દ્રમાં દરરોજ જિલ્લા કક્ષાએથી આપવામાં આવેલી થીમ મુજબ બાળકો માટે વિવિધ સર્જનાત્મક અને રમુજી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. અહીં ઔપચારિક શિક્ષણના બદલે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવામાં આવે છે, જેના કારણે બાળકો રમતા-રમતા શીખી રહ્યા છે. આ પદ્ધતિથી બાળકોની સમજશક્તિ, આત્મવિશ્વાસ અને સામાજિક વર્તણૂકમાં સકારાત્મક ફેરફાર જોવા મળી રહ્યો છે.
આંગણવાડી કેન્દ્રમાં બાળકોના પોષણ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા મેનુ મુજબ દરરોજ અલગ-અલગ પોષણયુક્ત ભોજન બાળકોને આપવામાં આવે છે. યોગ્ય પોષણ મળવાથી બાળકો શારીરિક રીતે તંદુરસ્ત અને માનસિક રીતે સક્રિય બની રહ્યા છે.
એક બાળકીની માતાએ પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે, અગાઉ ખાનગી નર્સરીમાં બાળકોને ચાર દીવાલોમાં બેસાડીને ભણાવવામાં આવતા હોવાથી તેમની બાળકીમાં ચીડિયાપણું આવી ગયું હતું. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી ઝાલોદ કસ્બા આંગણવાડી કેન્દ્રમાં દાખલ કર્યા બાદ તેમની બાળકીનો શારીરિક અને માનસિક વિકાસ નોંધપાત્ર રીતે થયો છે.
ઝાલોદ કસ્બા આંગણવાડી કેન્દ્ર આજે સરકારી આંગણવાડી વ્યવસ્થાની વિશ્વસનીયતા અને ગુણવત્તાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.





