
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છનું ભવ્ય આયોજન તા. 11 અને 12 જાન્યુઆરીએ રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીમાં કરવામાં આવશે. આ પ્રતિષ્ઠિત કોન્ફરન્સનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે, જે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર માટે ગૌરવની વાત છે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છના કુલ 12 જિલ્લાઓને આવરી લેશે અને પ્રદેશના આર્થિક તથા ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના આર્થિક-ઔદ્યોગિક વિકાસમાં માઈલસ્ટોન સાબિત થવાની પૂરી શક્યતા છે. ઉદ્યોગકારો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને નીતિ નિર્માતાઓને એક મંચ પર લાવી, સ્થાનિકથી વૈશ્વિક સ્તર સુધીના વ્યવસાયિક અવસરોને ઉજાગર કરવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે.
આ VGRCના મુખ્ય ક્ષેત્રોમાં ઇજનેરી, સિરામિક્સ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, માછીમારી, પેટ્રોકેમિકલ્સ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, MSMEs તથા ટુરિઝમ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ તમામ ક્ષેત્રોમાં રોકાણની વિશાળ તકો સાથે રોજગાર સર્જન અને ટેકનોલોજી આધારિત વિકાસને પ્રોત્સાહન મળશે.
કોન્ફરન્સ દરમિયાન બિઝનેસ ટુ બિઝનેસ (B2B) મીટ, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિવર્સ બાયર-સેલર મીટ સહિત અનેક વિષયો પર વિશેષ સેમિનાર અને ચર્ચાસત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દ્વારા ઉદ્યોગકારોને નેટવર્કિંગ, સહયોગ અને ભાગીદારીના નવા અવસર મળશે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશને ઉદ્યોગ, વેપાર અને રોજગારના ક્ષેત્રે નવી ઓળખ આપશે. વિકાસ, રોકાણ અને નવીનતાના સંગમરૂપે આ કોન્ફરન્સ રાજ્ય તથા દેશના વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.





