
રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટી પર યોજાવા જઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ મહત્વપૂર્ણ કોન્ફરન્સ રાજ્યના ઔદ્યોગિક, આર્થિક અને રોકાણ વિકાસને નવી દિશા આપવાનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે. કોન્ફરન્સને સફળ બનાવવા માટે વિવિધ વિભાગો દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભે રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી જયંતિ રવિ, ઉદ્યોગ અને ખાણ-ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ મારવાડી યુનિવર્સિટી ખાતે કોન્ફરન્સ સ્થળની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ એક્ઝિબિશન હૉલ, મુખ્ય કાર્યક્રમ સ્થળ અને સેમિનાર હૉલ સહિતના વિવિધ સ્થળોની મુલાકાત લઈને તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન અધિકારીઓએ સ્થળ પર થઈ રહેલી લેઆઉટ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, ટેકનિકલ સુવિધાઓ, પ્રેઝન્ટેશન સેટઅપ, વીજ પુરવઠા, સુરક્ષા વ્યવસ્થા તેમજ મહેમાનોના આવાગમન માટેની વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી હતી. સાથે જ, ઉદ્યોગકારો, રોકાણકારો અને પ્રતિનિધિઓને શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શક સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
અધિક મુખ્ય સચિવ સુશ્રી જયંતિ રવિએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ મંચ છે. અહીં વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગકારો, નીતિનિર્માતા અને નિષ્ણાતો વચ્ચે વિચારવિમર્શ થશે, જેના પરિણામે નવા રોકાણ અને રોજગારના અવસરો ઊભા થશે. તેમણે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામ કરવાની સૂચના આપી હતી.
ઉદ્યોગ અને ખાણ-ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્માએ કોન્ફરન્સ દરમિયાન યોજાનાર એક્ઝિબિશન અને સેમિનારોને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગિક ક્ષમતાને પ્રદર્શિત કરવાનો આ ઉત્તમ અવસર છે.
ઉચ્ચ અધિકારીઓની આ મુલાકાતથી તૈયારીઓને વધુ વેગ મળ્યો છે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજ્યના વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.





