
પેટલાદ તાલુકાના સિહોળ ગામના લાલપુરા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રની મુખ્યમંત્રીએ મુલાકાત લઈને કેન્દ્રમાં ચાલી રહેલી કામગીરીની વિસ્તૃત તપાસ કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ, બાળકોના પોષણ, આરોગ્ય તેમજ પ્રારંભિક વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ આંગણવાડી કેન્દ્રમાં હાજર નાનાં બાળકો સાથે હળવી અને શૈક્ષણિક રમતો રમી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકો સાથે રમતાં રમતાં તેમણે આનંદદાયક વાતાવરણમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. સાથે જ બાળકોની ઉંમર અનુસાર તેમના શારીરિક વિકાસની તપાસ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ બાળકોની સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ માપણી કરીને તેમના પોષણની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.
આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા પૌષ્ટિક આહારની માત્રા અને ગુણવત્તાની પણ મુખ્યમંત્રીએ ચકાસણી કરી હતી. બાળકોને આપવામાં આવતા દૂધ, ગરમ ભોજન અને પૂરક પોષણ યોગ્ય પ્રમાણમાં અને નિયમિત રીતે મળી રહ્યું છે કે નહીં તેની માહિતી મેળવી હતી. તેમણે આંગણવાડી કાર્યકર બહેન પાસેથી કેન્દ્રમાં ચાલતી દૈનિક પ્રવૃત્તિઓ અને નોંધપાત્ર કામગીરી અંગે વિગતવાર જાણકારી લીધી.
મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકર બહેનને જરૂરી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે બાળકોનું પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ મજબૂત હશે તો ભવિષ્યની પેઢી વધુ સ્વસ્થ અને સશક્ત બનશે. તેમણે બાળકોના સર્વાંગી વિકાસ માટે સમયસર આરોગ્ય તપાસ, સ્વચ્છતા, પૌષ્ટિક આહાર અને માતા-પિતાની જાગૃતિ પર ખાસ ધ્યાન આપવા સૂચનો કર્યા હતા.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ આંગણવાડી કેન્દ્રની વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી અને જરૂરિયાત મુજબ વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે પણ સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માતા અને બાળ આરોગ્ય તેમજ પોષણ માટે પ્રતિબદ્ધ છે અને આંગણવાડી કેન્દ્રો આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
મુખ્યમંત્રીની આ મુલાકાતથી આંગણવાડી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ગ્રામજનોમાં પણ સરકારની પોષણ અને બાળ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનતી જણાઈ હતી.





