
ગુજરાતના અંબિકા તાલુકાના વસારી ખાતે આયોજિત ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર (National Tribal Trade Fair – NTTF) ભવ્ય અને ઐતિહાસિક સફળતા સાથે પૂર્ણ થયો. ગુજરાતના સમગ્ર આદિવાસી સમાજ, રાજ્યના આદિવાસી વિકાસ વિભાગ, દિશા ફાઉન્ડેશન તથા અન્ય સહયોગી સંસ્થાઓના સહકારથી આયોજિત આ ફેર આદિવાસી ઉદ્યોગ, વેપાર, સંસ્કૃતિ અને આર્થિક સશક્તિકરણ માટે રાષ્ટ્રીય સ્તરે મજબૂત મંચ તરીકે ઉભરી આવ્યો છે.
અખિલ આદિવાસી સમાજના પ્રમુખ ડૉ. પ્રદીપભાઈ ગરસિયાએ માહિતી આપતા જણાવ્યું કે ચાર દિવસ દરમિયાન કુલ 6.1 લાખથી વધુ મુલાકાતીઓએ ફેરની મુલાકાત લીધી હતી. મોટી સંખ્યામાં થયેલી હાજરી એ રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેરની લોકપ્રિયતા અને તેની વ્યાપક અસર દર્શાવે છે. આ મેળાએ આદિવાસી સમાજને રાષ્ટ્રીય બજાર સાથે જોડવાનો માર્ગ ખુલ્લો કર્યો છે.
ફેર દરમિયાન આદિવાસી મહિલાઓ અને યુવતીઓએ પરંપરાગત નિતનવી વાનગીઓના સ્ટોલ મારફતે નોંધપાત્ર વ્યવસાય કર્યો. ધેકલા, રાગીના રોટલા, ઉકાળેલું, થાપલા, પાનેલા, માલપુડા, મેથી પુડા, ભડકું જેવી પરંપરાગત વાનગીઓના વેચાણથી ₹6 કરોડથી વધુની આવક નોંધાઈ. વેપાર અને હસ્તકલા સ્ટોલ પરથી ₹1 કરોડથી વધુનું સીધું વેચાણ થયું.
આ ઉપરાંત ફેર દરમિયાન ₹1 કરોડથી વધુના નવા બિઝનેસ ઓર્ડર અને લીડ્સ જનરેટ થઈ, જેના કારણે આદિવાસી ઉદ્યોગકારોને રાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરવાની નવી તકો પ્રાપ્ત થઈ. આ મેળાએ આદિવાસી ઉદ્યોગકારોમાં આત્મવિશ્વાસ અને ઉદ્યોગસાહસિકતાને નવી દિશા આપી છે.
રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેરની સફળતાનો પરોક્ષ લાભ પણ વિશાળ રહ્યો. સ્થાનિક દુકાનો, ફેરિયા, હોટલ વ્યવસાય, પરિવહન સેવાઓ અને આસપાસના વિસ્તારોમાં ₹1 કરોડથી વધુની પરોક્ષ આવક સર્જાઈ, જેના કારણે સમગ્ર વિસ્તારની અર્થવ્યવસ્થાને વેગ મળ્યો.
આ મેળો માત્ર વેપાર પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને કળાનું ભવ્ય પ્રદર્શન બન્યો. રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેરએ આદિવાસી સમાજના આર્થિક સશક્તિકરણ માટે નવી દિશા સ્થાપિત કરી છે અને ભવિષ્યમાં પણ આવા મેળાઓ રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

