
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા માંગરોળ ખાતે શ્રી વિવેકાનંદ વિદ્યાલય શાળા કેમ્પસ, ટાવર ગ્રાઉન્ડ, અમૃતબાગ નજીક ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળો નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બનવાના આશયથી યોજાયો હતો. માંગરોળ, માળીયા હાટીના અને કેશોદ તાલુકાના 1500થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ તેમજ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આમંત્રિત ઉમેદવારોમાંથી કુલ 54 ઉમેદવારો હાજર રહ્યા અને વિવિધ સંસ્થાઓ સમક્ષ પોતાની લાયકાત રજૂ કરી. ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતાઓ તરીકે Dr. A.K. Hospital, Reliance Nippon Life Insurance Company – જૂનાગઢ અને HR Talent Solution Pvt. Ltd.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. નોકરીદાતાઓએ પોતાની સંસ્થા અને ખાલી જગ્યાઓ અંગેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપી.
ત્યારબાદ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ઉપસ્થિત ઉમેદવારોમાંથી 35 જેટલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ અને કૌશલ્યના આધારે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આથી સ્થાનિક યુવાનોને રોજગાર મેળવવાની નવી તક મળી છે.
કાર્યક્રમ દરમિયાન રોજગાર કચેરીના અધિકારીઓએ ઉમેદવારોને કારકિર્દી માર્ગદર્શન આપ્યું તેમજ મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ. પોર્ટલ વિશે વિગતવાર માહિતી આપી. ઓનલાઈન નોંધણી, નોકરી શોધ અને કૌશલ્ય વિકાસ અંગે માર્ગદર્શન આપીને યુવાનોને સક્રિય રીતે રોજગાર તકોનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ ઔદ્યોગિક ભરતીમેળો સ્થાનિક સ્તરે રોજગાર ઉપલબ્ધતા વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરીના આ પ્રયાસથી યુવાનો અને નોકરીદાતાઓ વચ્ચે સીધી જોડાણ સ્થાપિત થઈ, જે ભવિષ્યમાં રોજગાર સર્જન માટે સહાયક બનશે.





