
અમરેલી જિલ્લાના કાગધામ મજાદર ખાતે લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું ભવ્ય પુનઃવિમોચન પ્રખ્યાત કથાકાર મોરારી બાપુના પવિત્ર હસ્તે કરવામાં આવ્યું હતું. કવિ કાગની ૪૯મી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત ‘કાગના ફળિયે કાગની વાતુ’ કાર્યક્રમના ૨૫મા મણકા તરીકે આ વિમોચન સમારોહ વિશેષ આકર્ષણ બન્યો હતો.
ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી પુસ્તકની નવી આવૃત્તિમાં આધુનિક ટેકનોલોજીનો સરસ સમન્વય કરવામાં આવ્યો છે. પુસ્તકમાં સમાવેશ કરાયેલા ક્યુઆર કોડને સ્કેન કરીને વાચકો કવિ કાગના સ્વરેથી ગવાયેલી વિવિધ કૃતિઓ સીધી સાંભળી શકશે. આ નવી પહેલ દ્વારા પરંપરાગત લોકસાહિત્યને ડિજિટલ યુગ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે યુવા પેઢીને પોતાના સાંસ્કૃતિક વારસાની નજીક લાવશે.
આ પ્રસંગે ચારણ પરંપરાની ગૌરવગાથા રજૂ કરતો વિશેષ અંક ‘ચારણ સંસ્કૃતિ’નું પણ વિમોચન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન કવિ કાગની ભક્તિમય, રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત અને સામાજિક સંદેશ આપતી રચનાઓનું સ્મરણ કરાયું. ઉપસ્થિત મહાનુભાવોએ કવિ કાગના જીવનમૂલ્યો, આધ્યાત્મિકતા અને લોકજાગૃતિ માટેના યોગદાનને આજના સમયમાં પણ માર્ગદર્શક ગણાવ્યા.
પુસ્તકના પુનઃવિમોચન બદલ મોરારી બાપુએ અંતઃકરણપૂર્વક પ્રસન્નતા વ્યક્ત કરી અને કવિ કાગની વાણી સદાય અમર રહેશે તેવી લાગણી વ્યક્ત કરી. પૂર્વ માહિતી નિયામક શ્રી વી. એસ. ગઢવીએ માહિતી કમિશનર શ્રી કે. એલ. બચાણી તેમજ માહિતી ખાતાનો આ મહત્વપૂર્ણ પ્રકલ્પ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સાહિત્ય અને સંસ્કૃતિનો અનોખો સંગમ બની રહ્યો, જેમાં કવિ કાગની સ્મૃતિને નવેસરથી જીવંત બનાવવાનો સફળ પ્રયાસ થયો.





