
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કાંગવી ગામે વિદ્યા નંદેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે ધાર્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું સુંદર સંકલન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન અને વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના નેતૃત્વ હેઠળ આ પ્રસંગે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા.
ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત યજ્ઞમાં મોટી સંખ્યામાં ગામજનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. યજ્ઞ સાથે સાથે આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું હતું.
આ પ્રસંગે આયુષ મેડિકલ ઓફિસરો, ધરમપુર દ્વારા નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ગામના નાગરિકોને વિવિધ આયુર્વેદિક સારવાર, નિદાન અને આરોગ્ય સલાહ આપવામાં આવી હતી. ખાસ કરીને જીવનશૈલી સંબંધિત રોગો, સામાન્ય બીમારીઓ અને ઋતુજન્ય તકલીફો માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન નિષ્ણાત ડોક્ટરો દ્વારા દવાઓનું વિતરણ પણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું, જેના કારણે ગ્રામજનોને મોટી રાહત મળી હતી. સાથે જ સ્વસ્થ જીવનશૈલી, આયુર્વેદિક ઉપચાર પદ્ધતિઓ અને પ્રાકૃતિક સારવાર અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા ધાર્મિક પ્રસંગને આરોગ્ય સેવાઓ સાથે જોડીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગામજનો દ્વારા આ પહેલને વધાવી લેવામાં આવી હતી અને આવા કાર્યક્રમો વધુ પ્રમાણમાં યોજાય તેવી માંગ પણ વ્યક્ત કરવામાં આવી હતી.
આ રીતે, કાંગવી ગામે યોજાયેલ આ આરોગ્ય કેમ્પ અને યજ્ઞ કાર્યક્રમ સમાજમાં આરોગ્ય જાગૃતિ અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.




