
ગાંધીનગર જિલ્લામાં નોંધાયેલા ટાઇફોઇડના કેસોને પગલે રાજ્ય સરકાર તાત્કાલિક કાર્યવાહી કરી રહી છે. ઉપમુખમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજી સમગ્ર પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. બેઠક બાદ તેમણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ટાઇફોઇડની સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી તેમજ દર્દીઓ કયા વિસ્તારથી આવ્યા છે અને તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
ઉપમુખમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તેમના કાર્યાલય ખાતે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. આ બેઠકમાં ટાઇફોઇડના ફેલાવાને રોકવા માટે લેવામાં આવેલા પગલાં, પાણી પુરવઠા અને સ્વચ્છતા, તેમજ દર્દીઓ માટેની સારવાર સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપમુખમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે દરેક દર્દીને શ્રેષ્ઠ અને સમયસર સારવાર મળે તે માટે કોઈ પણ પ્રકારની બેદરકારી ચાલશે નહીં.
બેઠક બાદ ઉપમુખમંત્રી સીધા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે સારવાર લઈ રહેલા દર્દીઓની તબિયત અંગે પૂછપરછ કરી હતી અને હોસ્પિટલ તંત્રને આદેશ આપ્યો હતો કે તમામ દર્દીઓને ઉત્તમ ગુણવત્તાની સારવાર આપવામાં આવે. સાથે જ દર્દીઓના પરિવારજનોને પણ કોઈ તકલીફ ન પડે તે માટે ભોજન સહિતની તમામ મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.
ટાઇફોઇડના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુસર 22 નિષ્ણાત ડોક્ટરોની વિશેષ ટીમ રચવામાં આવી છે. આ ટીમ દર્દીઓની સતત દેખરેખ રાખી રહી છે અને જરૂરી તમામ તબીબી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સમગ્ર વ્યવસ્થાની અસરકારક મોનિટરિંગ માટે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
ઉપમુખમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આજે સાંજના સમયે તેઓ ફરી એકવાર સમગ્ર સ્થિતિની સમીક્ષા કરશે. રાજ્ય સરકારનું મુખ્ય ધ્યેય એ છે કે દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય અને ટાઇફોઇડના કેસો પર સંપૂર્ણ નિયંત્રણ આવે. આ માટે વહીવટીતંત્રને તમામ જરૂરી પગલાં લેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.





