
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહએ ગાંધીનગર શહેરમાં પાણીજન્ય ટાઈફોઈડના શંકાસ્પદ કેસોની સ્થિતિને ગંભીરતાથી લઈને તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સ્પષ્ટ આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનો સમાધાન સહન કરવામાં આવશે નહીં અને દરેક દર્દીને સમયસર, સચોટ તથા નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર મળવી અનિવાર્ય છે.
આ મુદ્દે શ્રી અમિતભાઈ શાહએ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા કલેક્ટરશ્રી તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સાથે વિસ્તૃત ચર્ચા કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન તેમણે પાણી પુરવઠા વ્યવસ્થામાં થયેલા લીકેજના તાત્કાલિક સમારકામના આદેશ આપ્યા હતા. સાથે જ, રોગનો વધુ ફેલાવો અટકાવવા આસપાસના વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનની સઘન તપાસ હાથ ધરવા સૂચના આપી હતી.
કેન્દ્રીય મંત્રીએ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે શ્રેષ્ઠ સારવારની સાથે તેમના સગાંઓને પણ કોઈ તકલીફ ન પડે તે માટે ભોજન અને અન્ય મૂળભૂત સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા કરવા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે માનવ સંવેદનાને કેન્દ્રમાં રાખીને તંત્રએ કામગીરી કરવી જોઈએ.
ગાંધીનગર શહેરમાં શંકાસ્પદ ટાઈફોઈડના કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે અને સારવાર વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમોએ અત્યાર સુધીમાં 20,800થી વધુ ઘરોમાં સર્વે કરીને 90 હજારથી વધુ નાગરિકોને આવરી લીધા છે. સર્વે દરમિયાન તાવ, પેટના દુખાવા અને અન્ય લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓની તાત્કાલિક તપાસ અને જરૂરી સારવાર શરૂ કરવામાં આવી છે.
આ સાથે જ પાણીના નમૂનાઓનું પરીક્ષણ, ક્લોરિનેશન પ્રક્રિયા અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે જેથી પરિસ્થિતિ પર ઝડપથી નિયંત્રણ મેળવી શકાય. શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરમાં આરોગ્ય સુરક્ષા માટે કડક અને સંકલિત પગલાં લેવામાં આવી રહ્યા છે, જેનાથી નાગરિકોમાં વિશ્વાસનો ભાવ મજબૂત થયો છે.





