
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા માલેગામની શાળાના વિદ્યાર્થીઓ માટે ગાંધીનગરનો શૈક્ષણિક પ્રવાસ જીવનભર યાદ રહે તેવી સ્મૃતિ બની ગયો હતો. આ પ્રવાસ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ સમય ફાળવી શાળાના શિક્ષકો સહિત 150થી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓ સાથે સહજ અને આત્મીય મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીશ્રી સાથે થયેલા આ સંવાદે વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ ભરી દીધો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે ખુલ્લા દિલે વાતચીત કરી અને તેમના અભ્યાસ, ભવિષ્યના સપનાઓ તથા શાળામાં મળતી શૈક્ષણિક સુવિધાઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. ખાસ કરીને આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ માટે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી આધુનિક સુવિધાઓ અંગે વિદ્યાર્થીઓના અનુભવો જાણવા તેમણે રસ દાખવ્યો હતો. વિદ્યાર્થીઓએ પણ પોતાના અનુભવ, શૈક્ષણિક સફર અને આગળ વધવાની ઇચ્છાઓ નિર્ભયતાપૂર્વક વ્યક્ત કરી હતી.
માલેગામની આ શાળાની શૈક્ષણિક સિદ્ધિઓ અંગે મળેલી વિગતો મુખ્યમંત્રીશ્રી માટે વિશેષ પ્રેરણાદાયી રહી હતી. આ શાળામાંથી આ વર્ષે એક વિદ્યાર્થી આઈ.આઈ.ટી દિલ્હી ખાતે અભ્યાસ માટે પસંદ થયો છે, જ્યારે બે વિદ્યાર્થીઓ આઈ.આઈ.ટી રૂડકી અને આઈ.આઈ.ટી ગોવામાં અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત, અત્યાર સુધીમાં આ શાળાના 182 વિદ્યાર્થીઓ એન્જિનિયર તરીકે, 22 વિદ્યાર્થીઓ ડોક્ટર તરીકે, 36 વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે અને આશરે 65 વિદ્યાર્થીઓએ પેરામેડિકલ અભ્યાસનો લાભ મેળવી સમાજમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સિદ્ધિઓ બદલ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, શિક્ષણ એ આદિજાતિ યુવાઓના સર્વાંગી વિકાસનું સૌથી મજબૂત સાધન છે અને રાજ્ય સરકાર આવા વિદ્યાર્થીઓને વધુ તકો અને સગવડો પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી.
માલેગામની શાળાના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી સાથેનો આ સંવાદ માત્ર એક મુલાકાત નહીં, પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપતું સંભારણું બની રહેશે.





