
દાહોદ તાલુકાના બોરડી ઇનામી ગામના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ મોરી પ્રાકૃતિક ખેતી દ્વારા આર્થિક રીતે સશક્ત બન્યા છે. વર્ષ 2020માં ATMA Project સાથે જોડાયા બાદ તેમણે વિવિધ સ્થળોએ પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ મેળવી અને પોતાના ખેતરમાં કુદરતી પદ્ધતિથી ખેતીની શરૂઆત કરી હતી. આજે તેઓ વાર્ષિક રૂપિયા 1 લાખથી વધુનો નફો મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
કાળુભાઈ મોરી પોતાના ખેતરમાં મકાઈ, ડાંગર, ઘઉં, ચણા અને સોયાબીન જેવા મુખ્ય પાકોનું ઉત્પાદન કરે છે. સાથે જ 50થી વધુ આંબા, 50 દેશી સાગ, 10 સરગવા અને 20 જેટલા લીંબુના ઝાડ સહિત ફળ-ફળાદીનું વાવેતર કર્યું છે. શાકભાજીમાં ટામેટા, ચોળી, મરચા, રીંગણ, ગવાર અને ભીંડા જેવી પાકોની ખેતી કરીને તેઓ સારી આવક મેળવી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે શરૂઆતમાં તાલીમ દરમિયાન જાતે જ જીવામૃત અને અન્ય આયામો તૈયાર કર્યા હતા. અનુભવ વધતા દર વર્ષે એક નવું ખેતર પ્રાકૃતિક પદ્ધતિ હેઠળ લાવતા ગયા અને આજે તેમના તમામ ખેતરો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી હેઠળ છે. પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ન્યૂનતમ રહ્યો છે, જમીનની ઉર્વરાશક્તિ વધી છે અને પાણીની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
કાળુભાઈ કહે છે કે રાસાયણિક ખાતર અને દવાઓના વધુ ઉપયોગથી માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. નાના બાળકો અને યુવાનોમાં વધી રહેલા રોગો માટે રાસાયણિક ખેતી જવાબદાર છે. પ્રાકૃતિક ખેતીથી જમીન પોચી બને છે, અળસિયાઓ વધે છે અને વરસાદી પાણીનો સંગ્રહ કુદરતી રીતે થાય છે, જેના કારણે પાણીનું સ્તર પણ સુધરે છે.
અંતમાં તેઓ દાહોદ જિલ્લાના ખેડૂતોને અપીલ કરે છે કે રાસાયણિક ખેતી છોડીને કુદરતી પદ્ધતિ અપનાવો. “અપણે ખેડૂત છીએ તો પોતાના પરિવારને ઝેરયુક્ત ખોરાક કેમ પીરસીએ? કુદરતી રીતે ઉગાડેલ ઝેરમુક્ત અનાજ જ આપણા પરિવારને સ્વસ્થ રાખી શકે,” એમ તેમણે ઉમેર્યું.





