
દાહોદ તાલુકાના બાવકા ગામના પ્રગતિશીલ ખેડૂત હિરાભાઈ ડામોર પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતા પ્રાપ્ત કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. વર્ષ 2014માં આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા બાદ તેમણે આણંદ, અડાલજ અને દેથલી ખાતે તાલીમ મેળવી તેમજ ગુજરાતના રાજ્યપાલ Acharya Devvratના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરમાં યોજાયેલી 15 દિવસીય વિશેષ તાલીમમાં ભાગ લીધો હતો. તાલીમ બાદ તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ લઇ પદ્ધતિસર શરૂઆત કરી.
હાલ તેઓ ઋતુ મુજબ વિવિધ પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે. શિયાળુ સીઝનમાં ઘઉં, ચણા, મકાઈ તેમજ પાલક, ડુંગળી, લસણ, ટામેટા, ભીંડા, મરચાં, રીંગણ, ગવાર અને ચોળી જેવા શાકભાજી ઉગાડે છે. ઉપરાંત 1,000 સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું છે. અનાજ, શાકભાજી, ગુલાબના ફૂલ અને સ્ટ્રોબેરી સહિતના પાકમાંથી તેમને વાર્ષિક 3 લાખથી વધુ આવક થાય છે.
હિરાભાઈ ડામોર જણાવે છે કે તેઓ છેલ્લા દાયકાથી પોતાના આસપાસની ત્રણ ગ્રામ પંચાયતોના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છે. જીવામૃત, ઘન-જીવામૃત અને બીજામૃત જેવી પદ્ધતિઓ બનાવવી અને ઉપયોગ કરવો શીખવાડે છે. તેઓ ખેડૂતોને રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવી પ્રાકૃતિક ખેતીના લાભોથી માહિતગાર કરે છે.
તેમના મતે પ્રાકૃતિક ખેતીથી ખેતીનો ખર્ચ ઘટે છે, જમીનની ફળદ્રુપતા વધે છે અને પાણીની બચત થાય છે. જમીનમાં ભેજની ક્ષમતા વધવાથી પિયતની જરૂરિયાત ઓછી પડે છે અને વરસાદી પાણીનો સંગ્રહ પણ વધે છે. પ્રાકૃતિક રીતે પકવેલા અનાજ અને શાકભાજી આરોગ્યપ્રદ હોવાને કારણે પરિવાર સ્વસ્થ અને નિરોગી રહે છે.
દાહોદ જિલ્લાના ખેડૂતોને સંદેશ આપતા હિરાભાઈ કહે છે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ સ્વસ્થ જીવન અને ટકાઉ કૃષિ માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. વધુને વધુ ખેડૂતો આ દિશામાં આગળ વધે તે સમયની માંગ છે.





