
દાહોદ શહેરના મ્યુનિસિપાલિટી પાર્ક ખાતે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી નિમિત્તે અર્બન આજીવિકા મિશન અંતર્ગત આયોજિત સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. જિલ્લા પંચાયત પ્રમુખ Karansinh Damor અને ધારાસભ્ય Kanaiyalal Bachubhai Kishoriના હસ્તે આ સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંદેશ સાથે 23 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી આ મેળો યોજાશે.
મ્યુનિસિપાલિટી પાર્ક ખાતે કેશવ માધવ રંગમંચ પાછળ આયોજિત આ મેળામાં સ્થાનિક ઉત્પાદકોના 10 સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. અહીં સ્થાનિક કારીગરો અને ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવેલા સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા કૃતિઓ અને ઘરગથ્થુ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ઉદ્ઘાટન બાદ મહાનુભાવો દ્વારા તમામ સ્ટોલ્સની મુલાકાત લઈ સ્વદેશી વસ્તુઓ અને સર્જનાત્મક ઉત્પાદનો અંગે માહિતી મેળવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાથી ન માત્ર આર્થિક સ્વાવલંબન વધે છે, પરંતુ સ્થાનિક કારીગરોને રોજગારીની નવી તકો પણ મળે છે. ‘હર ઘર સ્વદેશી’ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને સ્થાનિક ઉત્પાદન તરફ પ્રેરિત કરવાનો છે, જેથી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી શકાય.
આ અવસરે ઉપપ્રમુખ નીરજભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન, મુખ્ય અધિકારી દીપસિંહ હઠીલા, એક્ઝિક્યુટિવ ચેરમેન હિમાંશુભાઈ બાબેરિયા, સમાજ કલ્યાણ સમિતિના અધ્યક્ષ તથા અન્ય વિવિધ સમિતિઓના અધ્યક્ષો, સભ્યો અને દાહોદ નગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાંજે નગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક કલાકારો દ્વારા લોકસંસ્કૃતિને ઉજાગર કરતી રજૂઆતો થશે. આ સ્વદેશી મેળો દાહોદમાં સ્થાનિક ઉત્પાદનો, પર્યાવરણ જાગૃતિ અને આર્થિક સશક્તિકરણનો સકારાત્મક સંદેશ ફેલાવી રહ્યો છે.





