
મહેસાણા જિલ્લાના થોળ પક્ષી અભયારણ્ય ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલે મુલાકાત લઈ પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્ય અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનાનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે થોળ અભયારણ્યમાં આવેલા વિવિધ યાયાવર અને સ્થાનિક પક્ષીઓનું નિરીક્ષણ કર્યું અને પક્ષીપ્રેમીઓ તથા સ્થાનિક પક્ષીવિદો સાથે ચર્ચા કરી. આ સંવાદ દરમિયાન પક્ષીઓના સંરક્ષણ, આવાસની સુરક્ષા અને પર્યાવરણીય સંતુલન અંગે ઉપયોગી વિચારોનું આદાન-પ્રદાન થયું.
રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે થોળ પક્ષી અભયારણ્ય ગુજરાતની અમૂલ્ય કુદરતી ધરોહર છે. અહીં દર વર્ષે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે, જે આ વિસ્તારમાં પર્યાવરણની સમૃદ્ધિ અને સ્વચ્છતા દર્શાવે છે. તેમણે આ કુદરતી વારસાને જાળવી રાખવા માટે સરકાર, સ્થાનિક પ્રશાસન અને નાગરિકોની સંયુક્ત જવાબદારી પર ભાર મૂક્યો.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત અભયારણ્ય પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. વૃક્ષારોપણ કરતાં તેમણે જણાવ્યું કે વૃક્ષો માત્ર ઓક્સિજન આપતા નથી, પરંતુ જીવસૃષ્ટિ માટે જીવન આધાર છે. દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખે તો પર્યાવરણ સંરક્ષણનું મોટું આંદોલન ઊભું થઈ શકે છે.
મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ અભયારણ્યમાં આવેલા પ્રવાસીઓ સાથે સહજ અને આત્મીય સંવાદ કર્યો. તેમણે બાળકો અને યુવાનોને પ્રકૃતિ સાથે જોડાવા, પક્ષીઓનું નિરીક્ષણ કરવા અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનવા પ્રોત્સાહિત કર્યા. પ્રવાસીઓને અભયારણ્યની સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને કુદરતને નુકસાન ન પહોંચાડવા અંગે પણ અપીલ કરી.
સ્થાનિક પક્ષીવિદોએ થોળ અભયારણ્યમાં થતી સંશોધન પ્રવૃત્તિઓ, પક્ષીઓની સંખ્યા અને આવનારા પડકારોની માહિતી રાજ્યપાલશ્રીને આપી. રાજ્યપાલશ્રીએ આવા અભ્યાસ અને સંરક્ષણ પ્રયત્નોને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી.
અંતમાં રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે પર્યાવરણનું સંરક્ષણ એ માત્ર નીતિ કે યોજના નહીં, પરંતુ દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે. થોળ પક્ષી અભયારણ્યની તેમની આ મુલાકાત પ્રકૃતિ પ્રત્યેની સંવેદના વધારવા અને પર્યાવરણ સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો છે.





