
બારડોલી નગરપાલિકા ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ શ્રી અંતરસિંહ આર્યની અધ્યક્ષતામાં અનુસૂચિત જનજાતિ સમાજના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ સમાજ માટે અમલમાં રહેલી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવો તેમજ સ્થાનિક સ્તરે ઉભા થતા પ્રશ્નોના નિવારણ માટે યોગ્ય માર્ગદર્શન આપવાનો હતો.
બેઠકમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા સહિત જિલ્લાના વહીવટી અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ અને આદિજાતિ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શ્રી અંતરસિંહ આર્યે આદિજાતિ સમાજના આરોગ્ય, શિક્ષણ, આવાસ અને રોજગારી સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ બેઠક દરમિયાન આરોગ્ય સેવાઓની પૂરતી ઉપલબ્ધતા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સુવિધાઓ, તેમજ દૂરદરાજના વિસ્તારોમાં રહેતા આદિજાતિ લોકોને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે અંગે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ, આશ્રમ શાળાઓ, હોસ્ટેલ સુવિધાઓ અને ઉચ્ચ શિક્ષણ માટેની સહાય અંગે વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા.
ખેડૂતોને મળતી ખેતીલક્ષી સબસિડી, સિંચાઈ યોજનાઓ અને કૃષિ વિકાસ માટેની સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે વહીવટીતંત્રને અસરકારક અમલ માટે સૂચના આપવામાં આવી. ખાસ કરીને અનુસૂચિત જનજાતિના નાગરિકોને જાતિ પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે ગંભીરતા દાખવી કાયમી ઉકેલ લાવવા માટે તંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું.
અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જનજાતિ સમાજનો સર્વાંગી વિકાસ સરકારની પ્રાથમિકતા છે અને દરેક યોજના જમીનસ્તર સુધી અસરકારક રીતે અમલમાં આવે તે માટે સતત મોનિટરિંગ જરૂરી છે. બેઠકના અંતે સ્થાનિક પ્રશ્નોને ધ્યાનમાં રાખી સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.





