
ગાંધીનગર ખાતે આયોજિત વસંતોત્સવની રંગબેરંગી સાંજમાં મણિપુરનું પ્રખ્યાત ‘થાંગ-તા’ નૃત્ય રજૂ થતાં સમગ્ર વાતાવરણ ઊર્જા અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું. વસંતઋતુની સૌમ્યતા વચ્ચે શૌર્ય અને શિસ્તનું પ્રતિનિધિત્વ કરતું આ નૃત્ય દર્શકો માટે અવિસ્મરણીય અનુભવ સાબિત થયું. ચમકતી તલવારો અને ભાલા સાથે કલાકારોના તાલબદ્ધ હાવભાવ અને દ્રુત ગતિએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા.
‘થાંગ-તા’ મણિપુરની પ્રાચીન યુદ્ધકલા ‘હુએન લાનલોન’નો મહત્વપૂર્ણ ભાગ છે. ‘થાંગ’નો અર્થ તલવાર અને ‘તા’નો અર્થ ભાલો થાય છે. આ નૃત્યમાં આ બંને હથિયારોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. આ કલા માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં શારીરિક કૌશલ્ય, શિસ્ત અને આત્મરક્ષણની તાલીમનો સમાવેશ થાય છે.
ઈતિહાસ મુજબ, પ્રાચીન સમયમાં મણિપુરના રાજાઓએ પોતાના સૈનિકોને યુદ્ધ માટે તૈયાર કરવા આ કલાનો વિકાસ કર્યો હતો. 19મી સદી દરમિયાન બ્રિટિશ શાસનમાં આ કલા પર પ્રતિબંધ મૂકાયો હતો, છતાં મણિપુરના લોકોએ તેને પરંપરાગત નૃત્ય સ્વરૂપે જીવંત રાખી. આજે આ કલા ભારતની અનમોલ સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખાય છે.
‘થાંગ-તા’ના પ્રદર્શનની ત્રણ મુખ્ય શૈલીઓ જોવા મળે છે — ધાર્મિક વિધિઓ સાથે જોડાયેલી રજૂઆત, યુદ્ધપ્રદર્શન આધારિત શૈલી અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રજૂ થતી મનોરંજક શૈલી. આ નૃત્યમાં માત્ર હથિયારો જ નહીં, પરંતુ પરંપરાગત વાદ્યોનો પણ મહત્વનો ભાગ છે. ખાસ કરીને ‘પેના’ નામનું પરંપરાગત વાદ્ય અને મણિપુરી ઢોલની તાલ સાથે પ્રદર્શન વધુ જીવંત બની જાય છે.
આ નૃત્યમાં શ્વાસપ્રક્રિયા અને એકાગ્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તીખા હથિયારો સાથે પ્રદર્શન કરતી વખતે નાની ભૂલ પણ જોખમી સાબિત થઈ શકે છે, તેથી કલાકારો માટે કડક તાલીમ આવશ્યક છે. ગુરુ-શિષ્ય પરંપરામાં ‘ગુરૂ દક્ષિણા’ અને પ્રાર્થનાથી શિક્ષણની શરૂઆત થાય છે.
ગાંધીનગર વસંતોત્સવમાં રજૂ થયેલ ‘થાંગ-તા’ નૃત્ય માત્ર મણિપુર નહીં, પરંતુ સમગ્ર ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતા અને શૌર્યનું પ્રતિક બની રહ્યું છે.





