સ્વામિત્વ યોજનાથી બનાસકાંઠામાં ગ્રામ્ય સશક્તિકરણ; ૪૫૩ ગામોમાં ૭૮,૮૧૬ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ


સુશાસનની મહેક અને અટલ નેતૃત્વ હેઠળ અવિરત વિકાસના સંકલ્પ સાથે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી સ્વામિત્વ યોજના ગ્રામ્ય ભારતના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. રહેણાંક મિલકતના માલિકી હકને કાયદેસર માન્યતા આપી ગ્રામ્ય નાગરિકોને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો હેતુ ધરાવતી આ યોજનાથી બનાસકાંઠા જિલ્લામાં વ્યાપક લાભ થયો છે.

નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી સી.પી. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્વામિત્વ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના કુલ ૪૫૩ ગામોમાં ૭૮,૮૧૬ રહેણાંક મિલકતોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરીને લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા છે. આ પ્રોપર્ટી કાર્ડ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક મિલકતના માલિકી હકને સત્તાવાર અને કાયદેસર ઓળખ મળી છે, જેના કારણે ગ્રામ્ય નાગરિકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત બની છે.

નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક મિલકત અંગે સ્પષ્ટ દસ્તાવેજોની અછત હોવાના કારણે અનેક સરકારી યોજનાઓનો લાભ લેવામાં અડચણ આવતી હતી. સ્વામિત્વ યોજનાના અમલ બાદ હવે મિલકત માલિકો સરળતાથી બેંક લોન મેળવી શકે છે તેમજ વિવિધ વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ શકે છે. આ યોજના દ્વારા ગ્રામ્ય અર્થતંત્રને પણ નવી દિશા મળી છે.

પ્રોપર્ટી કાર્ડના લાભાર્થી દિલીપકુમાર રાવલે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, “સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ મળ્યા બાદ હવે હું યોજનાકીય લાભ તેમજ બેંક લોન મેળવી શકું છું. અગાઉ મિલકત અંગે કોઈ કાયદેસર પુરાવા ન હોવાથી મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે સરકારશ્રીના આ પ્રયાસથી મોટી રાહત મળી છે.” તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

સ્વામિત્વ યોજના અંતર્ગત ડ્રોન ટેકનોલોજી દ્વારા સચોટ સર્વે કરીને મિલકતોની હદ નક્કી કરવામાં આવી છે, જેના કારણે વિવાદો ઘટાડવામાં પણ મદદ મળી છે. પારદર્શિતા, ટેકનોલોજી અને લોકહિતને કેન્દ્રમાં રાખતી આ યોજના ગ્રામ્ય વિકાસનું મજબૂત મોડેલ બની છે.

કુલ મળીને, સ્વામિત્વ યોજનાએ બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય નાગરિકોને માલિકી હક, આત્મવિશ્વાસ અને આર્થિક સશક્તિકરણની નવી તક આપી છે, જે સુશાસન અને સર્વાંગી વિકાસનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.


  • Related Posts

    વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર


    તા. ૨૪ માર્ચના World Tuberculosis Day નિમિત્તે Kheda district માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ Nadiad સ્થિત જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર Amit Prakash Yadav ની ઉપસ્થિતિમાં ટીબી…


    ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન


    Dharampur સ્થિત Valsad District Science Centre ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચકલી સંરક્ષણ અંગે…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *