
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્રનું ભવ્ય આયોજન રાજકોટે કરવામાં આવ્યું છે. આ પરિસંવાદમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની કૃષિ અને બાગાયત ક્ષેત્રની નોંધપાત્ર સિદ્ધિઓને વિશેષરૂપે રજૂ કરવામાં આવી રહી છે. રાજ્યના કૃષિ વિકાસમાં સૌરાષ્ટ્ર-કચ્છનું યોગદાન સતત વધતું જઈ રહ્યું છે, જેને VGRCના માધ્યમથી રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર આજે ગુજરાતના બાગાયત વિકાસનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે. વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતે ભીંડા (ઓકરા)ના વાવેતર અને ઉત્પાદનમાં દેશભરમાં અગ્રેસર સ્થાન મેળવ્યું છે. આ સમયગાળામાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં અંદાજે 14,000 હેક્ટર વિસ્તારમાં ભીંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને અંદાજે 1.5 લાખ ટન ઉત્પાદન નોંધાયું હતું. ઊંચી ઉત્પાદનક્ષમતા અને ઉત્તમ ગુણવત્તાના કારણે ભીંડા ઉત્પાદન ખેડૂતો માટે આવકનો વિશ્વસનીય સ્ત્રોત બન્યું છે.
ઉચ્ચ નફાકારકતા, ઓછા જોખમ અને ઝડપી બજાર ઉપલબ્ધતાને કારણે બાગાયત પાકો ખેડૂતોમાં વધુ લોકપ્રિય બની રહ્યા છે. ભીંડા ઉપરાંત ડુંગળી, ટામેટાં, મરચાં, રીંગણ, કેરી, દાડમ અને વિવિધ શાકભાજી પાકોમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આધુનિક ખેતી પદ્ધતિઓ, ડ્રિપ સિંચાઈ, ગુણવત્તાયુક્ત બીજ અને ટેકનોલોજીના ઉપયોગથી ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ખેડૂતલક્ષી યોજનાઓ, બાગાયત વિકાસ કાર્યક્રમો, માર્કેટિંગ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કારણે કૃષિ ક્ષેત્રે વ્યાપક પરિવર્તન આવ્યું છે. ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને નાણાકીય સહાય પૂરી પાડીને બાગાયત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ, રાજકોટે માત્ર સિદ્ધિઓનું પ્રદર્શન જ નહીં પરંતુ ભવિષ્યની કૃષિ નીતિઓ, રોકાણની તકો અને નવી ટેકનોલોજી અંગે વિચારવિમર્શનું મહત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું છે. આ પરિસંવાદ ગુજરાતને કૃષિ અને બાગાયત ક્ષેત્રે વધુ મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવશે.





