
વડોદરા જિલ્લામાં ‘પ્રશસ્ત 2.0’ સ્ક્રીનીંગ એપ અંતર્ગત જિલ્લા પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો માટે તાલીમ અને ગુણવત્તા અભિવૃદ્ધિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાનો હતો.કાર્યક્રમ દરમિયાન ડો. એમ. આઈ. જોષીએ શિક્ષણમાં માત્ર અભ્યાસ પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ સંસ્કાર અને મૂલ્ય શિક્ષણ પર પણ સમાન ભાર મૂકવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ સાથે નૈતિક મૂલ્યો અને સકારાત્મક વલણનું નિર્માણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. શિક્ષકો વિદ્યાર્થીઓ માટે આદર્શરૂપ હોય છે અને તેમના માર્ગદર્શનથી બાળકોના વ્યક્તિત્વનું ઘડતર થાય છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશ પાંડેએ મુખ્ય શિક્ષકોને સંબોધતા જણાવ્યું કે, શાળાનું વાતાવરણ જીવંત અને પ્રેરણાદાયક હોવું જોઈએ. તેમણે શિક્ષકોને પરિણામલક્ષી કાર્ય કરવાની અપીલ કરી અને જણાવ્યું કે, શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત ન રહી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ—શૈક્ષણિક, સામાજિક અને માનસિક—માટે કાર્ય કરવું જરૂરી છે.‘પ્રશસ્ત 2.0’ સ્ક્રીનીંગ એપનો ઉપયોગ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને આવશ્યક સહાયતા માટે મહત્વપૂર્ણ સાધન બની રહ્યો છે. આ એપ દ્વારા વિદ્યાર્થીઓની ક્ષમતાનું મૂલ્યાંકન કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં સરળતા રહેશે.બેઠક દરમિયાન મુખ્ય શિક્ષકો વચ્ચે અનુભવ વહેંચણી અને શ્રેષ્ઠ પ્રથાઓ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રમાં નવીનતા અને ટેકનોલોજીના ઉપયોગથી શાળાઓમાં ગુણવત્તાયુક્ત અને પરિણામકારક શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ.વડોદરામાં યોજાયેલી આ તાલીમ બેઠક શિક્ષણમાં ગુણવત્તા અભિવૃદ્ધિ માટે એક સકારાત્મક પગલું માનવામાં આવી રહી છે.





