
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે તા. 22 ડિસેમ્બર સુધી આયોજિત ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા”નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. આ મેળાનું ઉદ્ઘાટન મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ ખાંડેરાવ શુક્લાના કરકમળે કરવામાં આવ્યું. મહિલાઓના સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ ધરાવતો આ મેળો શહેર તથા જિલ્લાના નાગરિકો માટે વિશેષ આકર્ષણ બન્યો છે.
સશક્ત નારી મેળામાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોના અવનવા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને ટ્રાન્સજેન્ડર સખી મંડળનો સ્ટોલ, મધ્યસ્થ જેલ વડોદરાનો સ્ટોલ તેમજ નારી સંરક્ષણ ગૃહના સ્ટોલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ સ્ટોલોમાં હસ્તકલા, ઘરઉદ્યોગની ચીજવસ્તુઓ, ખાદ્ય પદાર્થો, કાપડ, સજાવટી વસ્તુઓ સહિત અનેક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.
ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ ખાંડેરાવ શુક્લાએ મહિલાઓના કૌશલ્ય, સર્જનાત્મકતા અને ઉદ્યમશીલતાની ભરપૂર સરાહના કરી હતી. તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ચીજવસ્તુઓની ખરીદી કરી મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહિત કર્યા. આ સાથે તેમણે જણાવ્યું કે મહિલાઓની આર્થિક સશક્તિકરણ દ્વારા જ સમાજ અને રાજ્યના વિકાસને નવી દિશા મળી શકે છે.
આ સશક્ત નારી મેળામાં વડોદરા શહેર અને જિલ્લામાં આત્મનિર્ભર બનેલી બહેનો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોનું સીધું વેચાણ થતું હોવાથી તેમને બજાર સુધી પહોંચવાની ઉત્તમ તક મળી છે. સરકાર દ્વારા મહિલાઓ માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને તાલીમના પરિણામે આજે બહેનો આત્મવિશ્વાસપૂર્વક પોતાનો વ્યવસાય વિકસાવી રહી છે.
સશક્ત નારી મેળો મહિલા સશક્તિકરણની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બની રહ્યો છે. આ મેળો માત્ર વેચાણનું મંચ નથી, પરંતુ મહિલાઓના આત્મવિશ્વાસ, સ્વરોજગાર અને આત્મનિર્ભરતાની પ્રેરણાદાયક ઓળખ બની રહ્યો છે.





