
રાજકોટ શહેરમાં નશીલા પદાર્થો સામેની લડતને વધુ મજબૂત બનાવવા CID એન્ટી-નાર્કોટિક્સ વિભાગનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવા વિભાગની શરૂઆતથી રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નશીલા પદાર્થોના વેપાર, પરિવહન અને વિતરણ સામે વધુ સંકલિત અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. CID એન્ટી-નાર્કોટિક્સ વિભાગ રાજકોટ શહેર પોલીસ તથા ગ્રામ્ય પોલીસ સાથે સંયુક્ત રીતે કાર્ય કરીને ડ્રગ્સ મુક્ત સમાજ તરફ મહત્વપૂર્ણ પગલાં ભરે છે.
ઉદ્ઘાટન પ્રસંગે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નશીલા પદાર્થોના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદાની પૂરી તાકાત સાથે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે નાર્કોટિક ડ્રગ્સ અને સાઇકોટે્રપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ અંતર્ગત ગંભીર ગુનાઓમાં દોષિત ઠરેલા આરોપીઓને 60 વર્ષ સુધીની સજા થઈ શકે છે. તેથી નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલા તત્વોએ ચેતવણીરૂપ સંદેશ માનવો જોઈએ કે રાજ્યમાં આવા ગુનાઓ માટે કોઈ સ્થાન નથી.
CID એન્ટી-નાર્કોટિક્સ વિભાગ દ્વારા આધુનિક તપાસ પદ્ધતિઓ, ટેક્નિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સ આધારિત કામગીરી હાથ ધરવામાં આવશે. રાજકોટમાં વધતા નશીલા પદાર્થોના દુષણને રોકવા માટે ગુપ્ત માહિતી એકત્રિત કરી તાત્કાલિક દરોડા પાડવામાં આવશે. સાથે સાથે શાળા, કોલેજો અને જાહેર સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો યોજીને યુવાનોને નશાથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
પોલીસ કમિશનરે અધિકારીઓને સૂચના આપી કે માત્ર સપ્લાય ચેન તોડવી પૂરતી નથી, પરંતુ ડ્રગ્સના નેટવર્ક પાછળ કાર્યરત મુખ્ય સૂત્રધારોને ઝડપી કડક કાર્યવાહી કરવી જરૂરી છે. આ માટે CID, શહેર પોલીસ, ગ્રામ્ય પોલીસ તથા અન્ય કાયદા અમલકારી એજન્સીઓ વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવામાં આવશે.
રાજકોટમાં CID એન્ટી-નાર્કોટિક્સ વિભાગની શરૂઆતથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેમજ નશામુક્ત સમાજના નિર્માણ માટે નવી દિશા મળશે. આ પહેલ ગુનાખોરી નિવારણ અને યુવાનોના સુરક્ષિત ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.





