
ગુજરાત સરકારનું ‘મુખ્યમંત્રી રાહત ફંડ’ આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ માટે સાચી અર્થમાં જીવનરેખા બની રહ્યું છે. ખાસ કરીને કેન્સર જેવી ગંભીર અને ખર્ચાળ બીમારી સામે સંઘર્ષ કરતા દર્દીઓ માટે આ ફંડ આશાનો આધાર પુરો પાડી રહ્યું છે. વર્ષ 2021થી 2025 દરમિયાન ‘મુખ્યમંત્રી રાહત ફંડ’ હેઠળ કુલ 2106 કેન્સર દર્દીઓને રૂ. 31.55 કરોડથી વધુની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન 450 બ્લડ કેન્સરના દર્દીઓ તેમજ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત 1656 અન્ય કેન્સર દર્દીઓને આ ફંડ દ્વારા સારવાર માટે સહાય આપવામાં આવી છે. કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવાર અત્યંત ખર્ચાળ હોવાના કારણે સામાન્ય અને ગરીબ પરિવારો માટે સારવાર કરાવવી મુશ્કેલ બની જાય છે. તેવા સમયે ‘મુખ્યમંત્રી રાહત ફંડ’ દર્દીઓ અને તેમના પરિવાર માટે મહત્વપૂર્ણ સહારો બની રહે છે.
ગુજરાત સરકારના ‘મુખ્યમંત્રી રાહત ફંડ’નો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને જીવનરક્ષક સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. કેન્સર ઉપરાંત લીવર, કિડની, હૃદય અને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ જેવી મોંઘી સારવારમાં પણ આ ફંડ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. પરિણામે અનેક દર્દીઓ સમયસર સારવાર મેળવી પોતાનું જીવન બચાવી શક્યા છે.
રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે અપનાવવામાં આવેલી આ માનવતાવાદી નીતિ સમાજના નબળા વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગંભીર બીમારી દરમિયાન સારવારનો ખર્ચ પરિવાર માટે આર્થિક બોજ ન બને તે માટે સરકાર સતત પ્રયાસશીલ છે. ‘મુખ્યમંત્રી રાહત ફંડ’ દ્વારા મળતી સહાયથી દર્દીઓમાં નવી આશા અને આત્મવિશ્વાસ જન્મે છે.
કેન્સર જેવી બીમારી સામે લડતમાં માત્ર દવા જ નહીં પરંતુ સમયસર નાણાકીય સહાય પણ અત્યંત મહત્વની હોય છે. આ દિશામાં ‘મુખ્યમંત્રી રાહત ફંડ’ ગુજરાતના હજારો પરિવારો માટે સંજીવની સમાન સાબિત થયું છે. આવનારા સમયમાં પણ રાજ્ય સરકાર વધુમાં વધુ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી આ સહાય પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે.
આ રીતે ‘મુખ્યમંત્રી રાહત ફંડ’ આરોગ્ય સેવા ક્ષેત્રે ગુજરાત સરકારની સંવેદનશીલતા અને સમાજકલ્યાણની દૃઢ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.





