ફતેપુરા તાલુકાના મોટી શેરો-૨ આંગણવાડી કેન્દ્રમાં ગંભીર અનિયમિતતાઓ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે સેવા સમાપ્તીની નોટિસ આપી


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ મોટી શેરો-૨ આંગણવાડી કેન્દ્રની અચાનક મુલાકાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણે લીધી હતી. આ મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રની કામગીરીમાં ગંભીર બેદરકારી અને અનેક અનિયમિતતાઓ સામે આવી હતી, જેને લઈ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે કડક વલણ અપનાવ્યું છે.

મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતાનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. સવારમાં બનાવવામાં આવેલ નાસ્તો ગુણવત્તાયુક્ત જણાયો હતો, પરંતુ પોષણ સુધા યોજના અંતર્ગત કોઈ નાસ્તો બનાવવામાં આવ્યો ન હતો. છેલ્લા બે વર્ષથી ખાલી ટીનના બારદાન સ્ટોર રૂમમાં ભરેલા હોવાનું તેમજ ખાદ્ય સામગ્રી યોગ્ય રીતે સંગ્રહિત ન હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઉપરાંત ટેક હોમ રેશનનું વિતરણ ન કરવામાં આવતું હોવાની ગંભીર બાબત પણ નોંધાઈ હતી.

છ માસથી છ વર્ષના બાળકોમાં કુપોષણ દૂર કરવા તથા સર્વાંગી વિકાસ માટે પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિઓ આપવાની સૂચનાઓ હોવા છતાં આંગણવાડી કેન્દ્ર પર ફક્ત પાંચ બાળકો હાજર જોવા મળ્યા હતા. અગાઉ સીડીપીઓ, મુખ્ય સેવિકા, બ્લોક ન્યુટ્રિશન મેનેજર તથા ઇન્સ્પેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હોવા છતાં તે સમયે પણ માત્ર સાતથી દસ બાળકોની હાજરી દર્શાવવામાં આવી હતી, જે કેન્દ્રની કામગીરી પર સવાલ ઉભા કરે છે.

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા કુપોષિત બાળકો અંગે વિગતો માંગતા પોષણ સ્તરના કોઈપણ કાર્ડ ભરવામાં ન આવ્યા હોવાની બાબત સામે આવી. ઉપરાંત, પૂર્વ પ્રાથમિક શિક્ષણની પાંચ પ્રવૃત્તિમાંથી એક પણ પ્રવૃત્તિ અમલમાં મૂકવામાં આવી ન હતી તેમજ રમતગમતની પુસ્તિકાઓ પણ ભરવામાં આવી ન હતી.

આ સમગ્ર કામગીરીનું મૂલ્યાંકન કરતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણે આંગણવાડી કાર્યકર્તા તથા હેલ્પર દ્વારા સ્વચ્છતા, પોષણ અને બાળ વિકાસ માટે કોઈ અસરકારક કામગીરી ન કરવામાં આવતી હોવાનું નિષ્કર્ષ કાઢ્યો. પરિણામે, બંનેને તેમની માનદ સેવા સમાપ્ત કરવા માટે લેખિત નોટિસ આપવામાં આવી છે.

સીડીપીઓ દ્વારા શૈક્ષણિક તથા પ્રશાસનિક કાર્યવાહી કરી તેની જાણ જિલ્લા કક્ષાએ કરવાની સૂચના પણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આપવામાં આવી છે. આ કાર્યવાહીથી આંગણવાડી કેન્દ્રોની જવાબદારી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે કડક સંદેશ આપવામાં આવ્યો છે.


  • Related Posts

    એકતાનગર વિકાસ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક: ઓડિશાની ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરીદાનો ઉલ્લેખ


    ગુજરાતના પ્રખ્યાત પર્યટન કેન્દ્ર Ekta Nagar અંગે ઓડિશાની ઉપમુખ્યમંત્રી Pravati Paridaએ પ્રશંસાપૂર્વક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે એકતાનગર માત્ર પર્યટન સ્થળ જ નથી, પરંતુ વિકાસ, નવીનતા અને રાષ્ટ્રીય એકતાનું…


    માધવપુર મેળો 2026 માટે તંત્ર સજ્જ: પોરબંદરમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ


    આગામી Madhavpur Fair 2026ને સુચારુ અને સફળ બનાવવા માટે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક નિવાસી અધિક જિલ્લા કલેક્ટર Rekhabaa Sarvaiyaના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી,…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *