
પ્રવાસન રાજ્યમંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામિતે આજે ભુજની મુલાકાત દરમિયાન ગુજરાતના સૌથી પ્રાચીન અને ઐતિહાસિક એવા કચ્છ મ્યૂઝિયમ તેમજ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કચ્છની સમૃદ્ધ કલા, લોકસંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને નજીકથી નિહાળી અભિભૂત થવાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.
ભુજ સ્થિત કચ્છ મ્યૂઝિયમમાં રાજ્યમંત્રીશ્રીએ પાષાણયુગના સમયના પથ્થરો, પ્રાચીન લેખનશૈલી, કચ્છ સંબંધિત દુર્લભ ફોટોગ્રાફ્સ તેમજ કચ્છના વિવિધ સમુદાયોની જીવનશૈલીનું પ્રદર્શન નિહાળ્યું હતું. તેમણે મેઘવાળ, રબારી, જત, મુતવા સહિતના સમાજોના પરંપરાગત પહેરવેશ અને કચ્છી લોકજીવનની ઝાંખી મેળવી હતી. આ સાથે જ કચ્છના વન્યજીવનને રજૂ કરતું સુરખાબ પાર્ક અંગેની વિસ્તૃત માહિતી પણ રાજ્યમંત્રીશ્રીએ મેળવી હતી.
મ્યૂઝિયમમાં પ્રદર્શિત પ્રાચીન તામ્રમૂર્તિઓ, મુઘલકાળ અને અંગ્રેજોના સમયના પુરાતત્વીય ચલણી સિક્કાઓ, કચ્છના રાજાઓના યુગના શસ્ત્રો, તલવાર-કટાર, ઓજારો અને વસ્ત્રો વિશે રાજ્યમંત્રીશ્રીએ ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ ઉપરાંત આરી ભરત, રબારી ભરત, બન્ની ભરત તેમજ વિશ્વપ્રસિદ્ધ રોગાન ચિત્રકળા જેવી કચ્છી હસ્તકલા કારીગરીનું પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું.
કચ્છ મ્યૂઝિયમના ક્યુરેટરશ્રી બુલબુલ હિંગલાજિયા અને આર્કિયોલોજિસ્ટ શ્રી આદિત્ય સિંહ દ્વારા મંત્રીશ્રીને વિવિધ પ્રદર્શનો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ રાજ્યમંત્રીશ્રીનું કચ્છી શાલથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે સંબંધિત અધિકારીઓ અને મ્યૂઝિયમના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ બાદ રાજ્યમંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામિતે ભુજમાં આવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમની મુલાકાત લીધી હતી. તેમણે વર્ષ 2001ના વિનાશક કચ્છ ભૂકંપમાં જીવ ગુમાવનારા દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્મૃતિવનની વિવિધ ગેલેરીઓમાં જીવનની ઉત્પત્તિ, માનવ વિકાસ, ભૂકંપ જેવી આપદાઓ અંગેની વૈજ્ઞાનિક માહિતી, હડપ્પન વસાહતો અને ચાર્ટ-મોડેલ્સ નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા.
વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર પર 2001ના કચ્છ ભૂકંપની અનુભૂતિ મેળવી તેમણે આપદા વ્યવસ્થાપન અંગે ઊંડો અનુભવ વ્યક્ત કર્યો હતો. સ્મૃતિવન મુલાકાત દરમિયાન ટુરીઝમ વિભાગના અધિકારીઓ અને સંકળાયેલા અગ્રણીઓ હાજર રહ્યા હતા.





