
પાટણ જિલ્લામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હવે ‘આરોગ્ય સંજીવની’ તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 1.28 લાખથી વધુ દર્દીઓને કુલ ₹315 કરોડથી વધુની નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે હજારો પરિવારોને મોટા આર્થિક ભારમાંથી મુક્તિ મળી છે.
આ યોજના અંતર્ગત ગંભીર અને ખર્ચાળ બીમારીઓ માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા આપવામાં આવે છે. પાટણ જિલ્લામાં આયુષ્માન યોજના દ્વારા હૃદયરોગ, કિડની, કેન્સર, અકસ્માત સારવાર, સર્જરી સહિત અનેક રોગોની ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર મફતમાં મળી રહી છે.
વર્ષ 2025 દરમિયાન જ પાટણ જિલ્લામાં આયુષ્માન યોજનાના લાભાર્થીઓને અંદાજે ₹48 કરોડ જેટલી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે, જે દર્શાવે છે કે યોજનાનો વ્યાપ અને અસર સતત વધી રહી છે. વધુને વધુ લોકો યોજના સાથે જોડાઈ રહ્યા છે અને આરોગ્ય સેવાઓનો લાભ લઈ રહ્યા છે.
આ અંગે તબીબી અધિકારી ડૉ. વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે “આયુષ્માન ભારત યોજના કરોડોની નિઃશુલ્ક સારવાર આપી લાખો પરિવારોને મોટી રાહત આપી રહી છે. ગંભીર બીમારીના સમયે ગરીબ અને સામાન્ય પરિવારોને હવે પોતાની સંપત્તિ વેચવાની કે કર્જ લેવાની ફરજ પડતી નથી.” તેમણે ઉમેર્યું કે આ યોજના ખરેખર ‘આરોગ્ય સંજીવની’ સમાન છે, જે જરૂરિયાતના સમયે જીવન બચાવવાનું કામ કરે છે.
પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા યોજનાની જાગૃતિ વધારવા માટે સતત કેમ્પ, માહિતી કાર્યક્રમો અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી દરેક પાત્ર પરિવાર સુધી આ યોજનાનો લાભ પહોંચી શકે. હોસ્પિટલોમાં આયુષ્માન મિત્રોની નિમણૂક કરીને દર્દીઓને સરળ પ્રક્રિયા અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
આયુષ્માન ભારત યોજના પાટણ જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ, સસ્તી અને અસરકારક બનાવી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની આ જનહિતકારી યોજના આવનારા સમયમાં પણ લાખો લોકોના જીવનમાં આરોગ્ય અને સુરક્ષાનું નવું સંજીવન લાવતી રહેશે.





