
ગુજરાત રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાની દિશામાં ગામડાની મહિલાઓ નવી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે. દૂધ ઉત્પાદન ક્ષેત્રે મહિલાઓની સક્રિય ભાગીદારી આજે આર્થિક સશક્તિકરણનું મજબૂત ઉદાહરણ બની રહી છે. વડોદરા જિલ્લાના નંદેસરી ગામની રહેવાસી કૈલાશબેન પરમારની સફળતા કથા એનો જીવંત પુરાવો છે, જેમણે પોતાના નેતૃત્વથી અનેક મહિલાઓને “લખપતિ દીદી” બનાવવાની દિશામાં માર્ગદર્શન આપ્યું છે.
કૈલાશબેન પરમારના નેતૃત્વ હેઠળ “સખી મંડળ” સાથે કુલ 715 બહેનો જોડાઈ છે. આ સખી મંડળ દ્વારા દૂધ મંડળીનું સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે. મહિલાઓના સંયુક્ત પ્રયત્નો દ્વારા આજે દૈનિક અંદાજે 17 લિટર ગાયનું અને 65 લિટર ભેંસનું દૂધ એકત્રિત કરવામાં આવે છે. આ વ્યવસાયિક પ્રવૃત્તિ દ્વારા સખી મંડળે વાર્ષિક આશરે ₹24 લાખની આવક મેળવી છે, જે ગ્રામ્ય સ્તરે મહિલા ઉદ્યોગસાહસિકતાનું ઉત્તમ ઉદાહરણ છે.
મિશન મંગલમ યોજના હેઠળ મહિલાઓને બચતની આદત, સ્વરોજગારના અવસરો, નેતૃત્વ ક્ષમતાનો વિકાસ અને આત્મવિશ્વાસ વધારવા માટે સતત માર્ગદર્શન અને સહાય આપવામાં આવી છે. આ યોજનાના પરિણામે મહિલાઓ માત્ર આર્થિક રીતે સશક્ત બની નથી, પરંતુ સામાજિક રીતે પણ આત્મવિશ્વાસપૂર્વક નિર્ણયો લેતી બની છે.
કૈલાશબેન પરમાર કહે છે કે શરૂઆતમાં અનેક પડકારો હતા, પરંતુ સખી મંડળની એકતા, સરકારની સહાય અને સતત મહેનતના કારણે આજે આ દૂધ મંડળી સફળતાની નવી ઊંચાઈએ પહોંચી છે. મહિલાઓ હવે પોતાના પરિવારની આવકમાં મહત્વપૂર્ણ ફાળો આપી રહી છે અને પોતાના પગ પર ઊભી રહી છે.
નંદેસરી ગામની આ સફળતા કથા સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન, સંગઠન અને સરકારની યોજનાઓથી ગામડાની મહિલાઓ પણ આત્મનિર્ભર બની શકે છે. દૂધ ઉત્પાદન દ્વારા લખપતિ દીદી બની રહેલી આ મહિલાઓ રાજ્યભરના અન્ય ગામો માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.





