
તરસાલી ખાતે આવેલ મદદનીશ નિયામક રોજગાર કચેરી દ્વારા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રોજગારની તક ઉપલબ્ધ કરાવવાનો તેમજ કૌશલ્ય વિકાસ માટે માર્ગદર્શન પૂરુ પાડવાનો હતો. આ મેળામાં સેવા ક્ષેત્ર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની કુલ છ પ્રતિષ્ઠિત નિયોક્તા કંપનીઓએ ભાગ લીધો હતો.
ભરતી મેળામાં ટેકનિશિયન, ઈજનેર, પ્રોડક્શન ઓપરેટર, ઓફિસ વર્ક, સેલ્સ કોઓર્ડિનેટર, એકાઉન્ટન્ટ અને શિક્ષક સહિત કુલ 130 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે આઈટીઆઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 110થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો અને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી.
ભરતી મેળાના અંતે ત્રણ કંપનીઓ દ્વારા કુલ ત્રણ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ઉપરાંત પાંચ ઉમેદવારોને મફત વ્યાવસાયિક તથા કૌશલ્ય તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જે યુવાનોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ પસંદગીઓથી રોજગાર મેળવવા ઇચ્છુક ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ ભરતી મેળામાં EPFO કચેરી દ્વારા શ્રી દીપક રાણા અને શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા ઉમેદવારોને ભારત સરકારની “વિકસિત ભારત રોજગાર યોજના” અંતર્ગત ભાગ ‘એ’ હેઠળ પ્રથમ વખત રોજગાર મેળવવાના લાભો તેમજ ભાગ ‘બી’ હેઠળ સંસ્થાઓને રોજગાર પૂરું પાડવા માટે મળતી સહાય અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત મદદનીશ નિયામક રોજગાર શ્રી અલ્પેશ ચૌહાણ તથા રોજગાર કચેરીના કાઉન્સેલરો દ્વારા રોજગાર કચેરી દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સૈન્ય ભરતી પૂર્વે ત્રણ દિવસની મફત રહેણાંક તાલીમ, વિદેશી રોજગાર અને કારકિર્દી માર્ગદર્શન, સ્વરોજગાર માટે લોન સહાય, તેમજ રિલેશન અને NCS ઓનલાઈન જોબ પોર્ટલ પર નોંધણી અંગેની માહિતીનો સમાવેશ થાય છે.
આ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યુવાનો માટે રોજગાર તથા કૌશલ્ય વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ અવસર સાબિત થયો છે, જેનાથી યુવાનોને આત્મનિર્ભર બનવામાં મજબૂત આધાર મળશે.





