
દેશ અને રાજ્યના સર્વાંગી વિકાસ તેમજ નાગરિકોની સુખાકારીના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઘેલા સોમનાથથી સોમનાથ સુધી ૨૨૯ કિલોમીટર લાંબી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’નું આયોજન કર્યું છે. આ પદયાત્રાનો પ્રસ્થાન પ્રસંગ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામ ખાતે આવેલાં પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરેથી ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવ્યો હતો.
પ્રસ્થાન પૂર્વે કેબિનેટ મંત્રીશ્રીએ ઘેલા સોમનાથ મહાદેવજીનું વિધિવિધાન મુજબ પૂજન-અર્ચન કરી ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે ઘેલા સોમનાથ મંદિર પર નૂતન ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ‘હર હર મહાદેવ’ના જયઘોષ, ઢોલ-નગારાના નાદ અને શિવભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને યાત્રિકોની હાજરીએ આ પ્રસંગને વધુ ભાવપૂર્ણ બનાવી દીધો હતો.
પૂજનવિધિ પૂર્ણ થયા બાદ મંત્રીશ્રીની આગેવાનીમાં યાત્રિકોએ માધવીપુર ગામ તરફ વાજતેગાજતે પ્રસ્થાન કર્યું હતું. યાત્રા દરમિયાન ધાર્મિક ભજનો અને શિવસ્તુતિના સૂર વચ્ચે યાત્રિકો હાથમાં ભગવા ધ્વજાઓ લઈને પગપાળા આગળ વધતા નજરે પડ્યા હતા. યાત્રિકોની આગળ ચાલતાં રથમાં સતત ધાર્મિક ગીતો વાગતા હતા, જેના કારણે સમગ્ર માર્ગ ભક્તિમય બની ગયો હતો.
પ્રસ્થાન સમયે મંદિર પરિસરમાં બાળાઓ દ્વારા અને યાત્રા માર્ગમાં આવતાં ઘરો પાસે મહિલાઓ દ્વારા મંત્રીશ્રીનું પરંપરાગત સામૈયું કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ફૂલવર્ષા કરીને યાત્રિકોનું સ્વાગત કર્યું હતું, જેનાથી સામાજિક એકતા અને ધાર્મિક સંસ્કૃતિનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો.
‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ માત્ર ધાર્મિક યાત્રા નહીં પરંતુ જનસંપર્ક, જનકલ્યાણ અને સમાજમાં સકારાત્મક ઊર્જા ફેલાવવાનો પ્રયાસ છે. આ પદયાત્રા દરમિયાન વિવિધ ગામોમાં લોકો સાથે સંવાદ સ્થાપિત કરી વિકાસ, સુખાકારી અને સામાજિક સમરસતાનો સંદેશ આપવામાં આવશે. રાજ્યભરમાં આ પદયાત્રા પ્રત્યે વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે.





