
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા પર્યાવરણ સંતુલન અને વન્યજીવન સંરક્ષણ માટે નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ અનોખી પહેલ અંતર્ગત માટી અને આર્દ્રતા સંરક્ષણ સંબંધિત વૈજ્ઞાનિક કામગીરી કરવામાં આવી રહી છે, જે રણ વિસ્તારના ઈકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.વન વિભાગ દ્વારા અંદાજે એક કિલોમીટર વિસ્તારમાં ત્રણ વિશેષ પ્રકારની વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ શેડ્સ (shades) વિકસાવવામાં આવી રહી છે. આ શેડ્સનું નિર્માણ વરસાદી ઋતુ દરમિયાન વહેતા વરસાદી પાણીના સંગ્રહને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં આ પ્રોજેક્ટનો વ્યાપ વધુ વિસ્તૃત કરવાની પણ યોજના છે.આ કામગીરીથી ચોમાસામાં વહેતા વરસાદી પાણીનું સંગ્રહ થશે, જેના પરિણામે શિયાળાની ઋતુ સુધી વન્યજીવનને કુદરતી રીતે પીવાનું પાણી ઉપલબ્ધ રહેશે. કચ્છના રણ વિસ્તારમાં પાણીની અછતને ધ્યાનમાં રાખતા આ પહેલ અત્યંત મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોડવાડિયાએ જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ માત્ર પાણી બચાવવાની પહેલ પૂરતો મર્યાદિત નથી, પરંતુ કચ્છના રણ વિસ્તારમાં સંપૂર્ણ ઈકોસિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ પ્રયાસથી વન્યજીવનના સંરક્ષણ, પ્રજનન અને વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થશે.વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું કે વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ આ શેડ્સ જમીન ક્ષયને રોકવામાં મદદરૂપ થશે અને રણ વિસ્તારમાં ભેજ જાળવી રાખશે. માટી ધોવાણ અટકાવવાથી સ્થાનિક વનસ્પતિને પણ લાભ મળશે અને પર્યાવરણનું સંતુલન જળવાશે.કચ્છના નાના રણ વિસ્તારમાં હાથ ધરાયેલી આ પહેલ રાજ્ય સરકારની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટથી વન્યજીવન સંરક્ષણ, પાણી સંચય અને જમીન સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને એકસાથે ઉકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ભવિષ્યમાં પર્યાવરણ સંરક્ષણ માટે માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.





