
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ અને ઉદ્યોગમૈત્રી નીતિઓના પરિણામે ગુજરાત આજે દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્યોમાં સ્થાન ધરાવે છે. રાજ્ય સરકાર હંમેશાં ઉદ્યોગો સાથે ઊભી રહીને તેમને જરૂરી સહયોગ, પ્રોત્સાહન અને અનુકૂળ વાતાવરણ પૂરૂં પાડવાની પ્રતિબદ્ધતા રાખે છે, તેવો વિશ્વાસ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટ ખાતે વ્યક્ત કર્યો હતો.
રાજકોટમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર–કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લો અને અર્થસભર સંવાદ સાધ્યો હતો. આ સંવાદ દરમિયાન ઉદ્યોગકારોએ પોતાના અનુભવ, પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા, જેને સરકાર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર “ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ”ને વધુ મજબૂત બનાવવા સતત પ્રયાસશીલ છે.
આ કાર્યક્રમની વિશેષ વાત એ રહી કે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કુલ 10,435 ઉદ્યોગ સાહસિકોને ₹956.51 કરોડની પ્રોત્સાહક સહાયનું વિતરણ કરવામાં આવ્યું. આ સહાયથી નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને નવી ગતિ મળશે અને રોજગારીની વધુ તકો સર્જાશે. ઉપરાંત, 137 ઉદ્યોગકારોને ₹671 કરોડથી વધુના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા, જેનાથી આગામી સમયમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તાર ઔદ્યોગિક વિકાસની વિશાળ શક્યતાઓ ધરાવે છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલી ઉદ્યોગલક્ષી નીતિઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ઝડપી મંજૂરી પ્રક્રિયાના કારણે આ વિસ્તાર ઉદ્યોગકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પણ ઉદ્યોગકારોને આશ્વાસન આપ્યું હતું કે રાજ્ય સરકાર તેમની સાથે સતત સંવાદમાં રહીને દરેક યોગ્ય પ્રશ્નનો ઉકેલ લાવશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચે વિશ્વાસ અને સહકારની ભાવના સ્પષ્ટ રીતે દેખાઈ આવી, જે ગુજરાતના સર્વાંગી ઔદ્યોગિક વિકાસ માટે શુભ સંકેત છે.





