
રાષ્ટ્રના અડગ સ્વાભિમાન, શૌર્ય અને અખંડ આસ્થાનું પ્રતિક એવા સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન તા. 11 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ વિશેષ પર્વ અંતર્ગત 108 ઘોડેસવારો સાથે ઐતિહાસિક અને ગૌરવસભર શૌર્ય યાત્રા યોજાશે, જે સોમનાથની ધરતી પર શૌર્ય, બલિદાન અને સ્વાભિમાનના ઇતિહાસને ફરી જીવંત કરશે.
આ શૌર્ય યાત્રામાં પારંપરિક વેશભૂષામાં સજ્જ ગુજરાત પોલીસ અશ્વદળના તાલીમબદ્ધ 108 અશ્વસવારો ભાગ લેશે. ‘હર હર મહાદેવ’ના નાદ સાથે અશ્વસવારોની ગુંજતી પગલીઓ સોમનાથના વાતાવરણને શૌર્ય અને ભક્તિથી ઓતપ્રોત કરી દેશે. શક્તિ, પરાક્રમ અને સંસ્કૃતિના પ્રતીક સમાન અશ્વ અને સોમનાથના સ્વાભિમાનનું આ અનોખું સંગમ જનમાનસમાં દેશપ્રેમ અને ગૌરવની ભાવના પ્રેરિત કરશે.
ભવ્ય અશ્વયાત્રા વીર હમીરસિંહજી ગોહિલની પ્રતિમા પાસેથી પ્રસ્થાન કરીને સભાસ્થળ સુધી આગળ વધશે. આ યાત્રા માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ ભારતના શૌર્યસભર ઇતિહાસ અને અડગ સંકલ્પની યાદ અપાવતી પ્રેરણાદાયી ઘટના બનશે. યાત્રા દરમિયાન લોકસંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું ભવ્ય દર્શન જોવા મળશે.
આ શૌર્ય યાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત પોલીસ અશ્વદળના 15 જિલ્લાઓમાંથી અશ્વ અને અશ્વસવારો સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે. લાંબા સમયથી કરવામાં આવેલી તાલીમ અને શિસ્તબદ્ધ અભ્યાસ બાદ આ અશ્વસવારો સોમનાથ સ્વાભિમાન પર્વને ઐતિહાસિક બનાવશે.
સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતની અડગ આસ્થા, સંસ્કૃતિ અને સ્વાભિમાનનું પ્રતીક છે. આ પર્વ દ્વારા રાષ્ટ્રના શૌર્ય અને બલિદાનના ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવશે.





