માય ભારત સુરત દ્વારા આંતરરાજ્ય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો, છત્તીસગઢના ૩૭ યુવાનોએ સુરત અને કેવડિયાની મુલાકાત લીધી


સુરત: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત–સુરત દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના મંત્રને સાકાર કરવા માટે ૫ દિવસીય આંતરરાજ્ય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢ રાજ્યમાંથી આવેલા ૩૭ પ્રતિભાશાળી યુવાનોએ ગુજરાતના સુરત અને કેવડિયા વિસ્તારમાં વિવિધ સાંસ્કૃતિક, ઔદ્યોગિક અને શૈક્ષણિક સ્થળોની મુલાકાત લઈ સમૃદ્ધ અનુભવ મેળવ્યો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક સમરસતા અને પરસ્પર સમજ વધારવાનો હતો. માય ભારતના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં ઝોન–૪ના ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રીમતી નિધિ ઠાકુર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનો સાથે આત્મીય સંવાદ સાધી સિવિલ સર્વિસીસ સહિત વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાની પ્રેરણા આપી અને દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા માટે ઉત્સાહિત કર્યા હતા.

પ્રવાસ દરમિયાન યુવાનોએ સુરતના ઔદ્યોગિક ગૌરવ સમાન હજીરા પોર્ટની મુલાકાત લઈને ભારતના સમુદ્રી વેપાર અને ઔદ્યોગિક વિકાસ વિશે માહિતગાર થયા હતા. ઉપરાંત, હરેકૃષ્ણા ડાયમંડ્સ ખાતે હીરા ઉદ્યોગની કાર્યપ્રણાલી અને વ્યાવસાયિક શિસ્ત વિશે જાણકારી મેળવી હતી. પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT) ની મુલાકાત દરમિયાન યુવાનોને ઉચ્ચ તકનીકી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રની માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, ઓરો યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન વિવિધ આધુનિક અભ્યાસક્રમો, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વૈશ્વિક તકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે યુવાનોને કેવડિયાની મુલાકાત પણ કરાવવામાં આવી હતી, જ્યાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિકાસ પ્રોજેક્ટ્સ નિહાળી રાષ્ટ્રીય ગૌરવની અનુભૂતિ કરી હતી.

આંતરરાજ્ય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમથી યુવાનોમાં પરસ્પર સંસ્કૃતિ, ભાષા અને જીવનશૈલી અંગે સમજ વધીને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના વધુ મજબૂત બની હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.


  • Related Posts

    એકતાનગર વિકાસ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક: ઓડિશાની ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરીદાનો ઉલ્લેખ


    ગુજરાતના પ્રખ્યાત પર્યટન કેન્દ્ર Ekta Nagar અંગે ઓડિશાની ઉપમુખ્યમંત્રી Pravati Paridaએ પ્રશંસાપૂર્વક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે એકતાનગર માત્ર પર્યટન સ્થળ જ નથી, પરંતુ વિકાસ, નવીનતા અને રાષ્ટ્રીય એકતાનું…


    માધવપુર મેળો 2026 માટે તંત્ર સજ્જ: પોરબંદરમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ


    આગામી Madhavpur Fair 2026ને સુચારુ અને સફળ બનાવવા માટે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક નિવાસી અધિક જિલ્લા કલેક્ટર Rekhabaa Sarvaiyaના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી,…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *